મુંબઈ અને અમદાવાદમાં IPLની મેચો યોજાઈ શકે
દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદલે સંકેત આપ્યા : જિંદલે કહ્યું કે એવું લાગી રહ્યુ છે કે તમામ લીગ મેચ એક વેન્યુ પર યોજાશે અને પ્લેઑફ્સ બીજા ગ્રાઉન્ડ પર યોજાશે
નવી દિલ્હી,તા.૨૦ : ઇન્ડિયન પ્રિમીયર લીગ ૨૦૨૧ના ઑક્શન સમાપ્ત થઈ ગયા છે. આ સાથે જ દેશમાં આઈપીએલ રસિયાઓમાં ચર્ચા છે કે આ વખતે આઈપીએલ ભારતમાં રમાશે કે ગત વખતની જેમ વિદેશમાં રમાશે. જોકે, જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આઈપીએલની તમામ મેચ ભારતમાં જ યોજાય તેવી શક્યતાઓ છે. તેમાં પણ મુંબઈમાં અને અમદાવાદમાં આઈપીએલની મેચીસ યોજાઈ શકે છે. ઈએસપીએનક્રિકઇન્ફોના અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદલે થયેલા ઑક્શનમાં આ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે મને જે દેખાયુ છે અને સાંભળવામાં આવી રહ્યુ છે કે જો ભારતની ટૂર પર ઇંગ્લેન્ડ આવી શકતું હોય અને આઈપીએલના તમામ ગોવામાં યોજાઈ શકતા હોય, વિજય હજારે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીનુ આયોજન થઈ શકતું હોય તો વિદેશમાં આઈપીએલ યોજવાની કોઈ વાત નથી.
આઈપીએલ ભારતમાં જ યોજાશે. જિંદલે વધુમાં કહ્યું કે 'એવું લાગી રહ્યુ છે કે તમામ લીગ મેચ એક જ વેન્યુ પર યોજાશે અને પ્લેઑફ્સ બીજા ગ્રાઉન્ડ પર યોજાશે. સમાચાર છે કે મુંબઈમાં લીગ મેચ યોજાવાની શક્યતા છે કારણ કે ત્યા ત્રણ ગ્રાઉન્ડ છે જ્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નૉકઆઉટ મેચ યોજાઈ શકે છે. દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદલે એમ પણ ઉમેર્યુ કે જો મુંબઈમાં તમામ લીગ મેચ યોજાય તો દિલ્હી કેપિટલ્સને ઘણો ફાયદો થઈ શકે છે કરાણ કે દિલ્હીની ટીમમાં મુંબઈના અનેક ખેલાડી છે. કેપ્ટન શ્રેયસ ઐય્યર, પૃથ્વી શૉ, અજિંક્ય રહાણે તમામ મુંબઈમાં જ રમ્યા છે અને સ્ટિવ સ્મિથ પણ મુંબઈની પીચ પર સારૃં પ્રદર્શન કરે છે.