કેપ્ટન રાહણેએ યશસ્વીને મેદાન પરથી કાઢી મૂકયોઃ જોકે વેસ્ટ ઝોન ચેમ્પિયન
વિવાદમાં સપડાયેલા ડબલ સેન્ચુરિયન જૈસવાલને છેવટે મળ્યો મેન ઓફ ધ ફાઈનલનો એવોર્ડ
નવી દિલ્હીઃ દુલીપ ટ્રોફીની ફાઈનલમાં સાઉથ ઝોન વતી બીજા દાવમાં રવિ તેજા (૯૭ બોલમાં ૫૩ રન)નું સૌથી મોટું યોગદાન હતું. રવિએ વારંવાર અમ્પાયરને ફરિયાદ કરી હતી કે ક્રીઝની નજીક ફીલ્ડિંગ કરતો યશસ્વી જૈસવાલ વારંવાર શાબ્દિક પ્રહારો કરી રહ્યો છે.
અમ્પાયરની વધુ એક ફરિયાદ આવતાં રહાણેએ યશસ્વી સાથે મેદાન પર થોડીવાર ઉગ્ર ચર્ચા કર્યા બાદ તેને મેદાન છોડી જવા કહ્યું હતું. પરિણામે, વેસ્ટ ઝોનની ટીમ ૧૦ ખેલાડીઓની થઈ ગઈ હતી. સાત ઓવર બાદ યશસ્વી પાછો રમવા આવ્યો હતો અને મેચ પછી (વેસ્ટ ઝોન વિજેતા થયું ત્યારબાદ) યશસ્વીને ડબલ સેન્ચુરી બદલ મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો.
રાહણેની કેપ્ટન્સીમાં સિધ્ધાંતભર્યા અભિગમની અગાઉ પણ ઝલક જોવા મળી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં ભારતે રહાણેના સુકાનમાં કાંગારૂલેન્ડ પર ઐતિહાસિક ટેસ્ટ- સિરીઝ જીતી, એ શ્રેણીમાં સિરાજ જયારે પ્રેક્ષકોના વાંશિક પ્રહારોનો શિકાર થયેલો ત્યારે રહાણેએ મેચ- રેફરીને ફરિયાદ કરીને મામલો વ્યવસ્થિત રીતે હાથ ધર્યો હતો.