કાલે ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો સમાન જંગઃ મેચમાં વરસાદની પૂરી શકયતા
રનોના ઢગલા થશે, પિચ સ્પિનરોને મદદ કરશેઃ સવારે ૭ વાગ્યાથી લાઈવ
નવી દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે ૨૭ નવેમ્બર, રવિવારે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સવારે ૭ વાગે શરૂ થશે. ટોસ ૬:૩૦ વાગ્યે થશે. આ મેચ હેમિલ્ટનના સેડન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હેમિલ્ટનમાં રવિવારનું હવામાન બહુ સારું રહેશે નહીં, અહીં સવારે વરસાદની ૨૦ ટકા સંભાવના છે, જે બપોરે વધીને ૯૦ ટકા થઈ જશે. ન્યુઝીલેન્ડના સમય મુજબ બપોરે ૨ વાગ્યા સુધી વરસાદની ૧૦૦ ટકા શકયતા છે. જો ભારત આ મેચમાં હારી જશે તો સિરીઝ ન્યૂઝીલેન્ડ જીતી જશે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ભારત સીરીઝ જીતી શકશે નહી, તે ત્રીજી વનડે જીતીને જ સીરીઝ ડ્રો કરી શકશે. વરસાદની સંભાવના વચ્ચે ટોસ નિર્ણાયક બનશે.
સેડન પાર્કની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ થશે, પરંતુ જો વરસાદ પડશે તો બેટ્સમેનો માટે પણ પડકાર વધી જશે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમને ૩૨૦થી વધુ રન બનાવવાના હોય છે, તો જ બીજી ટીમ પર દબાણ રહેશે. ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે. અહીં સ્પિન બોલરોને વધુ મદદ મળશે.