Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

‘સત્‍યા' ફિલ્‍મે મનોજ વાજપાઇની લાઇફ ચેન્‍જ કરી દીધીઃ મુંબઇ કા કિંગ કૌન... ભીખુ મ્‍હાત્રેઃ આ ડાયલોગ પાછળની કહાણી પણ દિલચશ્‍પ

આજે હિન્‍દી સિનેમાના અદ્‌ભૂત કલાકારો પૈકીના એક અભિનેતા મનોજ વાજપાઇનો જન્‍મદિવસ

મુંબઇઃ આજે હિન્દી સિનેમાના અદભુત કલાકારો પૈકીના એક એવા મનોજ બાજપાઈનો જન્મદિન. ત્યારે તેમના જન્મ દિવસ પર પણ યાદ કરીએ તેમની પહેલી ફિલ્મ અને તેનો પહેલો જ ડાયલોગ જેણે એ સમયે ધૂમ મચાવી દીધી હતી. એ ડાયલોગ હતો...મુંબઈ કા કિંગ કૌન...ભીખુ મ્હાત્રે...ત્યારે તો આ ફિલ્મ બાદ સૌ કોઈ પોતાને ભીખુ મ્હાત્રે કહીને આ ડાયલોગ બોલવા લાગ્યા હતાં. સૌ કોઈ પોતાને મુંબઈનો કિંગ સમજવા લાગ્યા હતા. સત્યા ફિલ્મએ મનોજ બાજપાઈની લાઈફ ચેન્જ કરી દીધી. પણ આ ડાયલોગ પાછળની કહાની પણ દિલચસ્પ છે.

રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત 'સત્યા' 3 જુલાઈ 1998ના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મમાં ગેંગસ્ટર્સની અંધારી આલમને સ્ક્રીન પર બતાવવામાં આવી છે, જેમાં મનોજ બાજપેયી, જેડી ચક્રવર્તી, સૌરભ શુક્લા અને ઉર્મિલા માતોંડકરે શાનદાર કામ કર્યું છે. મનોજ બાજપેયીએ ગેંગસ્ટર ભીકુ મ્હાત્રેની ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જો કે ફિલ્મના દરેક સીન ખૂબ જ યાદગાર હતા, પરંતુ મનોજ બાજપેયીના ડાયલોગ 'મુંબઈ કા કિંગ કૌન...'એ શો ચોર્યો હતો.

'સત્યા'ના આ ફેમસ ડાયલોગના શૂટ સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના છે. મનોજ બાજપેયીએ ઉંચી ભેખડ પર ઉભા રહીને આ ડાયલોગ બોલવાનો હતો, પરંતુ અભિનેતાએ શૂટિંગ લોકેશન પર અલગ લાઇન બોલ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાને ચોક્કસ સીન શૂટ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે તે ઊંચાઈથી ડરતો હતો. ઉંચી જગ્યા પર ઉભા રહીને તેને ડાયલોગ બોલવાનો હતો, પણ પડી જવાના ડરને કારણે તે પોતાનો ડાયલોગ વારંવાર ભૂલી જતો હતો.

ડાયલોગ પાછળની દાસ્તાનઃ

મનોજ બાજપેયીને ફરીથી દોરડાથી બાંધીને ઊંચાઈ પર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જોરદાર પવનને કારણે તેઓ ફરીથી તેમના સંવાદો ભૂલી રહ્યા હતા. ત્યાર બાદ રામ ગોપાલ વર્માએ મનોજને પથ્થર પર ચઢીને તેના મનમાં જે પણ આવે તે કહેવા કહ્યું, જે તે ડબિંગ દરમિયાન બદલી નાખશે. અંતે, મનોજ બાજપેયી ખડક પર ચડ્યા અને બૂમ પાડી, 'મને અહીંથી નીચે ઉતારો, મને અહીંથી ઉતારો.' ડબિંગ દરમિયાન તેની જગ્યાએ 'મુંબઈ કા કિંગ કૌન...'નો મૂળ સંવાદ ઉમેરવામાં આવ્યો હતો.

સંઘર્ષ ભર્યું રહ્યું જીવનઃ

મનોજ બાજપાઈએ ખુબ સંઘર્ષ કર્યો. તેમણે ખાલી પેટ રસ્તા પર રહીને મુંબઈમાં ઘણો સમય વિતાવ્યો. ત્યાર બાદ તેઓેને ફિલ્મી દુનિયામાં પગ મુકવાનો મોકો મળ્યો. મનોજ બાજપાઈ કામ શોધવા માટે ઘરે-ઘરે ભટકતો હતો અને આજે બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. અભિનેતા મનોજ બાજપેયી ઘરમાં સૌથી મોટા હતા, તેમના પિતા બીમાર હતા, તેથી તમામ જવાબદારી તેમના ખભા પર હતી. એવા સમયે બેવડી જવાબદારી નીભાવીને આ કલાકારે વિપરિત સમયમાં પોતાના હુનરને નીખાર્યું. આખરે તેને રામ ગોપાલ વર્માની ફિલ્મ 'દૌડ'માં કામ કરવાની તક મળી. અને પછી તેમની ટ્રેન પાટા પર દોડી ગઈ. તેમના અભિનયથી પ્રભાવિત થઈને આરજીવીએ તેમને 'સત્યા'માં કાસ્ટ કર્યા. જેમાં તેણે ભીખુ મ્હાત્રેનું પાત્ર ભજવ્યું હતું અને તેને ઘણી પ્રશંસા મળી હતી. આજે પણ મનોજને આ રોલ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ત્યારથી આજ સુધી મનોજે ક્યારેય પાછું વળીને જોવું પડ્યું નથી.

અનેક ફિલ્મો અને વેબસિરિઝમાં કામ કર્યુંઃ

રાજનીતિ, મિરઝાપુર, ગેંગ્સ ઓફ વાસેપુર, સત્યાગ્રહ જેવી અનેક સુપરહીટ ફિલ્મો અને ફેમિલીમેન જેવી અનેક સુપરહીટ વેબસિરિઝમાં મનોજ બાજપાઈએ પોતાના દામદાર અભિનયનો પરચો આપ્યો.

(4:39 pm IST)