News of Tuesday, 8th September 2020
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મધ્ય ઝોનના હેલ્થ વિભાગે બીજા દિવસે પણ કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવતી ટ્રેનના મુસાફરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન આજે 1782 મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી 16 મુસાફરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાંય સૈથી વધુ 13 કેસ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં આવેલા મુસાફરોના નીકળ્યાં હતા.
છેલ્લાં બે દિવસ હાથ ધરાયેલી ટેસ્ટીંગની કામગીરીમાં ગઇકાલે સોમવારે 33 કેસો મળી આવ્યા હતા. આજે તેમાં 16 કોરોના પોઝિટિવ કેસોનો ઉમેરો થતાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 49 પર પહોંચ્યો છે. તેમાંય છેલ્લાં બે દિવસમાં ટ્રેઇનમાં શોધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના મુસાફરોમાં જ વધુ જોવા મળ્યું છે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટીંગ દરમિયાન પરપ્રાંતીય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝીટીવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં સમય ઘણો વ્યતીત થતો હોવાની સાથોસાથ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરતાં હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતીય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.
જેના ભાગરૂપે સોમવારથી અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કામગીરી હાથ ધરી હતી. આજના બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રાખી હતી. જેમાં રાજધાની સ્પેશ્યલ ટ્રેન મારફતે આવેલા 819 મુસાફરોમાંથી 13 પોઝિટિવ જણાયા હતા. તે જ રીતે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 396 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
તેમાં એક પણ કોરોના પોઝિટિવ કેસો મળ્યા ન હતા. જયારે મુઝફરપુર સ્પેશ્યલ ટ્રેન મારફતે આવેલા 577 પ્રવાસીઓની ચકાસણીમાં 3 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1782 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટીંગ કરાયું હતું. જેમાં 16 મુસાફરો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. આ મુસાફરોને મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવિડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.