Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગાંધીનગર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય

ટેકાના ભાવે ખરીદીમાં બારદાનમાં ૩૫ના બદલે ૨૫ કિલો મગફળી ભરવામાં આવશે

મગફળીની ટેકાના ભાવે ખરીદીનો ૨૧ મી ઓકટોબરથી શુભારંભ : અત્યાર સુધીમાં સવા ચાર લાખ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન : બારદાનનો ખર્ચ, અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે : જયેશ રાદડીયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૫:  ગાંધીનગર ખાતે થી રાજય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું છે કે, રાજયમાં આગામી ૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવાનો રાજય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે.

મંત્રીશ્રી રાદડિયાએ ઉમેર્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ધારાસભ્યો અને ખેડૂત આગેવાનો દ્વારા મળેલ રજૂઆતો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે રાજયમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ છે અત્યાર સુધીમાં સવા ચાર લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ પ્રક્રિયા આગામી તા.૨૦મી ઓકટોબર સુધી ચાલશે અને તા.૨૧મી ઓકટોબરથી રાજયભરમાં નાફેડના સંકલનમાં રહીને ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે. ગત વર્ષે રાજય સરકારે ૪.૭૦ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી હતી અને આ વર્ષે પણ ૪.૭૦ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદવામાં આવે તેવો અંદાજ છે.

મંત્રીશ્રી રાદડિયાએ ઉમેર્યું કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકારના એફએકયુ અને નાફેડ દ્વારા કરાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ છેલ્લા બે વર્ષમાં રાજય સરકારે મગફળીની ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોમાં ભરાવો કરવાનો નિર્ણય કર્યો હતો અને આ વર્ષે પણ ખેડૂતોના હિતમાં બારદાનમાં ૨૫ કિલો મગફળી ભરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી દ્યટશે અને સાથેસાથે બારદાનનો ખર્ચ, મજૂરીનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજય સરકાર ભોગવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(11:21 am IST)