Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં પાંજરાપોળોને ૫૦ લાખના ચેક મેડીકલ વેટરનીટી -દવાઓ માટે વિડીયો કોન્ફરન્સથી અર્પણ કરતા વિજયભાઇ રૂપાણી

જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા : ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલુ રાજ્ય : અબોલ પશુજીવો સહિત જીવમાત્રના કલ્યાણની સંવેદનાથી ઇઝ ઓફ લીવીંગ-કરૂણા-પ્રેમ-અનુકંપાનું વાતાવરણ રાખ્યું છેઃ રાજયમાં તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ પર સારવાર મળે તે માટે રપ૦ એમ્બ્યુલન્સ-ફરતા પશુ દવાખાના કાર્યરત કર્યા છેઃકોરોનાના કપરાકાળમાં મૂંગા પશુજીવો પ્રત્યે સંવેદના સાથે પાંજરાપોળોને પશુદિઠ રોજના રૂ. રપની સબસિડી સહાય આપી : વિજયભાઇ

રાજકોટ ,તા. ૧૫:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જીવદયા રાજય સરકારની પ્રાથમિકતા છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલું રાજય છે, સાથોસાથ અબોલ પશુજીવો સહિત જીવમાત્રનો વિચાર અને સંવેદનાથી ઇઝ ઓફ લીવીંગ, કરૂણા, પ્રેમ, દયા અને અનુકંપાનું વાતાવરણ રાખવું છે. તમામ જીવોને અભયદાન રાજયની ફરજ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી રાષ્ટ્રસંત ગુરૂદેવ પૂજય નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજયની નાની-નાની પ૦ પાંજરાપોળોને મેડીકલ વેટરનીટી, દવાઓ માટે પ્રત્યેકને રૂ. ૧ લાખના ચેક અર્પણ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી રહ્યા હતા.

સમસ્ત મહારાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઇ શાહ સહિત રાજયની વિવિધ પાંજરાપોળના ૯ જેટલા અગ્રણીઓ-પ્રતિનિધિઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ પ્રતિકરૂપે વિરમગામ અને ભાણવડ પાંજરાપોળના સંચાલકોને રૂ. ૧-૧ લાખના ચેક અર્પણ કર્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજય સરકારે જીવદયા અને અબોલ પશુઓની સારવાર-કલ્યાણના અનેક પ્રકલ્પો વેગવાન બનાવ્યા છે. દ્યાયલ પશુઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ અને એનીમલ હેલ્પલાઇન કાર્યરત કરી છે.

એટલું જ નહિ, રાજયના અંતરિયાળ વિસ્તારોના તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ પર સારવાર સુશ્રુષા આપવા રપ૦ એમ્બ્યુલન્સ ફરતા પશુદવાખાના તરીકે શરૂ કરી છે. આ મોબાઇલ એનિમલ ડિસ્પેન્સરીનું સંચાલન પણ આપાતકાલ માનવ સેવામાં શ્રેષ્ઠ પૂરવાર થયેલ ૧૦૮ એમ્બ્યુલન્સના સંચાલક GVKના આપ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પશુધનને ઘાસચારો મળી રહે તે માટે પશુદીઠ રૂ. રપની સહાય સરકારે મંજૂર કરી છે અને ચૂકવી છે.

રાજયની પાંજરાપોળોને પોતાની માલિકીની જમીનમાં ઘાસચારો ઉગાડી પશુઓને આપી શકે અને અછતના સમયે ઘાસની તંગી ન પડે તે માટે ઘાસચારો ઉગાડવા ૧૦૦ કરોડ રૂપિયાની કુલ સહાય ટયૂબવેલ, સોલાર ઇલેકટ્રીક પેનલ વગેરે માટે આપીને પશુઓની સેવા-ચિંતાનો ભાવ દર્શાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે એવો ઉલ્લેખ પણ કર્યો કે, ખાસ કરીને કચ્છમાં પશુઓને ઘાસચારાની તંગી ન પડે તે માટે વન વિભાગ દ્વારા નલિયામાં ઘાસના મેદાનો ઊભા કરી ત્યાં પણ ઘાસની ખેતી કરવાનું આયોજન છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ અબોલ પશુજીવો પ્રત્યે કરૂણા-દયા અને જીવદયાના સંસ્કાર સંતશકિતના આશીર્વાદ અને મહાજનો-સેવા સંગઠનોના સહયોગથી વધુ ઊજાગર કરવાની નેમ પણ દર્શાવી હતી.

રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાણીમાત્રને શાતા, વેદના, પીડામાં રાહત અને અબોલજીવોના જતનની ચિંતા કરનારા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જીવદયા ભાવ ઊજાળ્યો છે તે માટે અભિનંદન આપ્યા હતા.

શ્રી નમ્રમૂનિ મહારાજ સાહેબે મૂંગા પશુઓના દર્દ, પીડા, વેદનાને ટ્રીટમેન્ટ સારવાર દ્વારા દૂર કરી અનેક અબોલ જીવોના આશીર્વાદ મળે તેવું પૂણ્ય કાર્ય ગુજરાતની ધરતી પર પ્રારંભ થયું છે તેને શ્રેષ્ઠ આશીર્વાદ અને ઉત્ત્।મ મંત્રથી પણ અધિક સેવારૂપ ગણાવ્યા હતા.

સમસ્ત મહાજનના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઇ શાહે આ સેવાકાર્યની પ્રેરણા પૂજય નમ્રમૂનિ મહારાજ સાહેબના કૃપા આશિષથી મળી છે તેનો ઉલ્લેખ કરતાં નાની પાંજરાપોળોના પશુજીવો માટે આ સારવાર-સેવા મૂંગા પશુજીવો માટે ઉપકારક બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

(2:53 pm IST)