Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પ્રેમી સાથે જતી રહેલી પત્નિની નજર સામે જ યુવાને મિત્રો સાથે મળી સાળીનું અપહરણ કર્યુઃ ઝડપાયો

અમદાવાદ તા. ૧૬:  પતિ દારૂ પીને ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી લગ્ન પૂર્વેના પ્રેમી સાથે રહેવા જઈ લોકોના ઘરે ઘરકામ કરતી પત્નિની ભાળ મળતાં જ પતિ ત્યાં પહોંચ્યો હતો અને પત્નિ તથા તેના પ્રેમીની નજર સામે જ પત્નિ સાથે જ રહેતી પોતાની સાળીનું અપહરણ કરી લીધું હતું. વસ્ત્રાપુર પોલીસની સતર્કતા તથા ત્વરિત કામગીરીના પગલે રિક્ષામાં અપહૃતને લઈ જઈ રહેલા આરોપી બનેવી અને તેના મિત્રોઓને પોલીસે નવરંગપુરા વિસ્તારમાં આંતરી લઈ અપહૃતાને મુકત કરાવી હતી.

૨૩ વર્ષીય રાજસ્થાનમાં રહેતી યુવતીના લગ્ન પાંચ વર્ષ પહેલા તેમની જ જ્ઞાતિના યુવાન સાથે થયા હતાં. બે વર્ષ સાસરીમાં રહ્યાં બાદ યુવતી અને તેનો પતિ અમદાવાદ આવ્યા હતા અને છૂટક મજૂરી કરતાં હતાં. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેનો પતિ દારૂ પીતો તથા તેના ચારિત્ર્ય પર શંકા રાખતો હોઈ તે તેનાથી કંટાળી ગઈ હતી. દરમિયાનમાં તે તેના લગ્ન પૂર્વેના પ્રેમી કાંતિના સંપર્કમાં આવી હતી જે ગાંધીનગરમાં રહી છૂટક મજૂરી કરતો હતો તથા તેના છૂટાછેડા ત્રણ વર્ષ અગાઉ થઈ ગયા હતા. યુવતીએ તેના પ્રેમી કાંતિને પતિની ફરિયાદ કરતાં પ્રેમીએ ફોન ઉપર રોજ કેમ માર ખાય છે, મારી સાથે રહેવા આવી જા તેમ જણાવ્યું હતું. આથી તેણી પ્રેમી સાથે રહેવા આવી ગઇ હતી. એ પછી તેણીની બહેન પણ ભાવનગરથી આવીને તેની સાથે રહેવા માંડી હતી.

આ દરમિયાનમાં બુધવારે રાત્રે પોણા આઠના સુમારે યુવતી, તેની બહેન અને તેનો પ્રેમી કાંતિ ઓરડીમાં હતા ત્યારે જ તેનો પતિ તેના મિત્રોને લઈ ઓરડીમાં ઘૂસી આવ્યો હતો. તેઓ કાંતિને માર મારી સાળીને ઉઠાવીને ભાગ્યો હતો. પણ પોલીસે તેને અને તેના મિત્રોને દબોચી લીધા હતાં. વસ્ત્રાપુરના પોલીસ ઈન્સ્પેકટર વાય.બી. જાડેજાના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ સર્વેલન્સ સ્કવોડ સહિતની ટીમો કામે લાગી ગઈ હતી અને નવરંગપુરા વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લઈ અપહરણ કરાયેલી યુવતીને મુકત કરાવાઈ હતી. આ બનાવમાં પોલીસે યુવતિના બનેવી, ભરત અહારી તથા દાનેશ્વર ઉર્ફે દાના શંકર નામના આરોપીઓની ધરપકડ કરી છે જયારે અન્ય બે આરોપી રાકેશ અને વિકાસ અહારી ભાગી ગયા હતાં.

(12:56 pm IST)