Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

દુબઈના પૂરે લોકોના ટ્રાવેલ પ્‍લાન ખોરવ્‍યા : વધુ રૂપિયા ચૂકવી રિશિડ્‍યુલ કરવી પડી રહી છે ફ્‌લાઈટ્‍સ

દુબઇથી જતી અને આવતી ઘણી ફલાઇટ્‍સ કેન્‍સલ કરવામાં આવી છે :ઘણા પ્રવાસીઓએ તેમની મુસાફરીને ફરીથી શિડ્‍યુલ કરવાની ફરજ પડી હોવાથી ટિકિટનું નવેસરથી બુકિંગ કરવું મોંઘું બની રહ્યું છે

અમદાવાદ, તા.૨૦: યુએઈમાં પડેલા અસામાન્‍ય વરસાદના કારણે લોકોનો ટ્રાવેલ પ્‍લાન પણ ખોરવાઈ ગયો છે. દુબઈ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ભારે ટ્રાફિક રહેતો હોય છે પરંતુ ભારે વરસાદના કારણે ફ્‌લાઈટ્‍સના શિડ્‍યુલ ખોરવાઈ ગયા છે. દુબઈથી જતી અને આવતી ઘણી ફ્‌લાઈટ્‍સ કેન્‍સલ કરવામાં આવી છે. જેના કારણે ટ્રાવેલ કંપનીઓને તેમના કસ્‍ટમરને ટિકિટ રિશિડ્‍યુલ કરી આપવી પડી રહી છે. અમદાવાદના એક બિઝનેસમેને ગુરૂવારે અમદાવાદથી અમેરિકાના હ્યુસ્‍ટન જવા માટે ફ્‌લાઈટ બુક કરાવી હતી. તેમની ફ્‌લાઈટ વાયા દુબઈ થઈને જવાની હતી. આ બિઝનેસમેન સુરક્ષિત રીતે દુબઈ પહોચ્‍યા હતા પરંતુ એરપોર્ટ પર પૂરના પાણી ફરી વળ્‍યા હતા તેના કારણે તેમની હ્યુસ્‍ટનની કનેક્‍ટિંગ ફ્‌લાઈટમાં ઘણો વિલંબ થયો હતો. આ અંગે અમદાવાદમાં ટ્રાવેલ કંપની ચલાવતા વીરેન્‍દ્ર શાહે જણાવ્‍યું હતું કે, અમારે શુક્રવાર માટે એ જ ફ્‌લાઈટમાં રિશિડ્‍યુલ બુકિંગ કરવું પડ્‍યું હતું. ખરાબ હવામાન અને ફ્‌લાઈટમાં વિલંબના કારણે એરલાઈન્‍સે મુસાફરો માટે દુબઈમાં હોટલમાં રહેવાની વ્‍યવસ્‍થા કરી હતી. સદનસીબે શુક્રવારની ફ્‌લાઈટ સમયસર હતી અને પેસેન્‍જર સુરક્ષિત રીતે રવાના થયા હતા.

અભૂતપૂર્વ મૂશળધાર વરસાદ અને વાવાઝોડાએ આ સપ્તાહની શરૂઆતમાં વિશ્વના સૌથી વ્‍યસ્‍ત એરપોર્ટ્‍સમાં સામેલ એવા દુબઈ એરપોર્ટની કામગીરીમાં વિક્ષેપ પાડ્‍યો હતો. જેના કારણે હજારો ફ્‌લાઈટ્‍સના શિડ્‍યુલ ખોરવાઈ ગયા હતા. અમદાવાદના પ્રવાસીઓ સહિત વૈશ્વિક સ્‍તરે ડોમિનો ઈફેક્‍ટ શરૂ કરી હતી. શહેરમાંથી ઘણા લોકો વ્‍યવસાય અર્થે દુબઈ જાય છે અને આ પરિસ્‍થિતિના કારણે તેમનું પણ શિડ્‍યુલ ખોરવાઈ ગયું હતું. વીરેન્‍દ્ર શાહે જણાવ્‍યું હતું કે, આવા ઘણા પ્રવાસીઓએ તેમની મુસાફરીને ફરીથી શિડ્‍યુલ કરવાની ફરજ પડી હોવાથી ટિકિટનું નવેસરથી બુકિંગ કરવું મોંઘું બની રહ્યું છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

અમદાવાદથી દુબઈની એક રાઉન્‍ડ ફ્‌લાઈટનો ખર્ચ સામાન્‍ય રીતે વ્‍યક્‍તિ દીઠ ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ રૂપિયાની વચ્‍ચે હોય છે. જોકે, આગામી થોડા દિવસો માટે આ સપ્તાહની ફ્‌લાઈટ ટિકિટો ફરીથી શિડ્‍યુલ કરવાના કારણે વ્‍યક્‍તિ દીઠ ૬૦,૦૦૦ રૂપિયા જેટલું ઊંચું ભાડું વસૂલવામાં આવી શકે છે. ૧૬ એપ્રિલથી એરપોર્ટ બંધ અને ત્‍યારપછીની ફ્‌લાઈટ કેન્‍સલેશનની અસરને કારણે અમદાવાદથી વેકેશન કે પછી બિઝનેસ માટે જઈ રહેલા ટ્રાવેલર્સ મુશ્‍કેલીમાં મૂકાઈ ગયા છે. ટ્રાવેલ ઈન્‍ડસ્‍ટ્રીના સૂત્રોએ એ પણ જાહેર કર્યું છે કે દુબઈ એરપોર્ટના કેટલાક ભાગો બિનકાર્યક્ષમ છે, જેના કારણે એરલાઈન્‍સે ફ્‌લાઈટ્‍સ રદ કરી છે, જેના કારણે હવાઈ ભાડામાં હજી મોટો વધારો થઈ શકે છે.

જોકે, આ દરમિયાન UAEમાં ભારતીય દૂતાવાસે ઉદ્દભવેલી પરિસ્‍થિતિનો અંગે ઝડપથી પ્રતિક્રિયા આપી છે. દૂતાવાસે એક સકર્યુલર એડવાઈઝરી જારી કરીને મુસાફરોને એરપોર્ટ પર સામાન્‍ય કામગીરી ફરી શરૂ ન થાય ત્‍યાં સુધી બિનજરૂરી ટ્રાવેલ પ્‍લાન પર ફરીથી વિચાર કરવા વિનંતી કરી છે. આના કારણે બિઝનેસ અને વેકેશન ટ્રિપ્‍સ બંને માટે દુબઈના ટ્રાવેલ બુકિંગને ફરીથી શિડ્‍યુલ કરવાની વિનંતીઓ વધી છે. અમદાવાદની એક ટ્રાવેલ કંપનીના માલિક અંકિત બજાજે જણાવ્‍યું હતું કે, હાલમાં એરલાઈન્‍સ તકવાદી બની ગઈ છે અને ભાડમાં ભારે વધારો કરી દીધો છે. તેમની હાલની ઈન્‍વેન્‍ટરીઝ લગભગ મર્યાદિત બફર સાથે બુક કરવામાં આવી છે. તેથી જેઓ તેમની ફ્‌લાઈટ્‍સ ફરીથી શિડ્‍યુલ કરવાનું સમાપ્ત કરે છે તેઓ તેમના બુકિંગમાં ફેરફાર કરવા માટે ભારે રકમ ચૂકવે છે. જે લોકોને ટ્રાવેલિંગ માટે કોઈ ઉતાવળ નથી તેમણે સંપૂર્ણ રિફંડનો દાવો કરીને તેમની ફ્‌લાઈટ્‍સ રદ કરી છે.

(4:13 pm IST)