Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

રાજયની સસ્‍તા અનાજના ૮૦% દૂકાનોમાં એપ્રિલ માસના ઘઉં- ચોખા-તુવેર દાળ-ચણા પહોંચ્‍યા નથીઃ પુરવઠા મંત્રીને પત્ર

સસ્‍તા અનાજના દુકાનદાર એસો.ના હોદેદારો ઉકળી ઉઠયાઃ પુરવઠા નિગમ ઉપર તડાપીટ ચૂંટણી બાદ આંદોલનનું એલાનઃ દુકાનદારોમાં પ્રચંડ રોષઃ ૩૦ દિવસની સાયકલ કરવા માંગણી

રાજકોટ તા.૨૫: ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસો.એ પુરવઠા મંત્રીને વિસ્‍તૃત પત્ર પાઠવી જણાવ્‍યું છે કે, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્‍થો આપવાનું ભગીરથ કાર્ય ગુજરાતના લગભગ ૧૭૦૦૦ સસ્‍તા અનાજના દુકાનદારો બેખૂબીથી નિભાવી રહ્યા છે આ દુકાનદારોને દુકાન ચલાવતા પડતી વિવિધ મુશ્‍કેલીઓ અને તેમના વ્‍યાજબી પ્રશ્‍નો અને માગણીઓને સરકારમાં વાચા આપવા માટેનું કાર્ય ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન (કે જે ટ્રેડ યુનિયન એક્‍ટ ૧૯૨૬ તારીખ ૧૨-૧૦-૨૦૧૯ ના રોજ રજીસ્‍ટ્રેશન નબર જી ૬૬૫૨ થી નોંધાયેલ છે) કરી રહ્યું છે. પરંતુ અનેક રજૂઆતો છતા દુકાનદારોની સ્‍થિતિ આજે પણ દયનીય છે. સરકારથીમાં વિવિધ સ્‍તરે મીટીંગો કમિટીમાં અનેક વખત ચર્ચાઓ વિચારણાઓ અને સહમતિ સધાયા બાદ પણ પ્રશ્‍નોના નિરાકરણ આવી રહ્યા નથી. દુકાનદારો દ્વારા પ્રતિક હડતાલ ધરણા અસહકાર આદોલન હલ્લા બોલ અને દુકાનદારો દ્વારા આપવામાં આવેલા વિવિધ કાર્યક્રમો વખતે સરકાર દ્વારા અનેક બાબતે સહમતિ સધાઈ હોવા છતાં તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી ત્‍યારે ખાસ કરીને જાહેર વિતરણ વ્‍યવસ્‍થા સરળતાથી ચાલે એ માટે સરકાર અને લાભાર્થીઓને જોડતી સીધી સાકળ તરીકે અમારા વ્‍યાજબી ભાવના દુકાનદારો છે અને આ સીસ્‍ટમ સુચારુ રીતે ચાલે તે માટેની મોટાભાગની જવાબદારી ગુજરાત નાગરિક પુરવઠા નિગમની છે દુઃખ સાથે કહેવું પડે છે કે પુરવઠા નિગમ છેલ્લા ચાર વર્ષથી તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી નિભાવમાં સંપૂર્ણ નિષ્‍ફળ ગયેલ છે ગુજરાતનો દુકાનદાર આજની તારીખે પુરવઠા નિગમના પાપે ઘણી બધી યાતનાઓ ભોગવી રહ્યો છે.

 આઘાર આધારિત વિતરણ નો નિયમ અમલમાં લાવતા દુકાનદારોને મળતા જથ્‍થાની સાયકલ ૪૫ દિવસની કરવામાં આવી હતી અને એ મુજબ આ કામગીરી સરળતાથી ચાલતી હતી પરંતુ નાગરિક પુરવઠા નિગમમા એમડી તરીકે કાયમી અધિકારીના બદલે લાંબા સમયથી ચાર્જમા નિમણૂક આપીને નિગમનો વહીવટ ચલાવવામાં આવતો હોય નિગમ તેની જવાબદારી સમયસર પૂર્ણ કરવામાં નિષ્‍ફળ ગયું છે એક બાજુ લાબા સમયથી એસોસિયેશન જથ્‍થાની ૩૦ દિવસની સાઇકલ માટે સતત રજૂઆત કરી રહ્યું છે અને આપની બેઠકમાં પણ સરકાર દ્વારા આ બાબતે યોગ્‍ય કરવાની ખાતરી આપી હતી ત્‍યારે આ બાબતે અનેક વખત નિયામક દ્વારા એસોસિયનને જણાવવામાં આવ્‍યું છે કે સચિવ આ બાબતે સહમત થતા નથી અહીં સવાલ એ થાય છે કે પુરવઠા નિગમ તેમની ઈચ્‍છા પડે ત્‍યારે ૪૫ દિવસની સાયકલ ૩૦ દિવસની સાઈકલ ચલાવે છે આમ તો જથ્‍થાને ૪૫ દિવસની સાયકલમાં નિયમ અનુસાર અને સરકારની સ્‍થાયી સૂચના મુજબ નિયામક કચેરીએ દર મહિનાની ૧૬ તારીખે આગામી મહિનાના એડવાન્‍સ જથ્‍થાની પરમિટ ચલણ જનરેટ કરવાના હોય છે પરંતુ નિયામક કચેરી તરફથી નિગમની સગવડતા માટે થઈને આ સરકારની સૂચનાને ઘોળીને પી જવામાં આવી છે અને અને નિયામક કચેરી તરફથી કયારેક ૨૨ તારીખ ૨૫ કે ૨૯ તારીખે તો કયારેક ૧ તારીખ પછી પણ આવી પરમીટો મૂકવામાં આવે છે. જો ૩૦ દિવસના જથ્‍થાની સાયકલ માટે  સચિવની મંજૂરી હોય તો આવી અનિયમિત અને માત્ર નિગમની સગવડતા માટે અને નિગમની નિષ્‍ફળતા છુપાવવા માટે અનિયમિત પરમીટો બનાવવા માટેની મંજૂરી  સચિવ એ કયારેય આપી ન હોય એવું માનવાને રહે છે. આ ૪૫ દિવસની સાયકલ હોવા છતાં અને દુકાનદારો ઉપર આ ઠોકી બેસાડવામાં આવેલ હોવા છતાં પુરવઠા નિગમ ચાલુ મહિનાની ૨૫ તારીખ સુધી ઘઉં ચોખાનો જથ્‍થો પણ પહોંચાડી શકતી નથી.આજ તારીખ થવા છતાં  do mlc રિપોર્ટ જોતા પુરવઠા નિગમ દ્વારા હજુ ઘઉં અને ચોખા ૮૦% જથ્‍થો જ પહોંચી શકયો છે જ્‍યારે અધર જણસીમા દાળ ૫૦%ચણા પણ ૫૦% જેવું જ ઈસ્‍યુ ગુજરાત ભરમાં થયુ છે. અન્ન સુરક્ષા કાયદા અનુસાર દર પેહલી તારીખે દુકાન ઉપર ઘઉં ચોખા પહોંચાડવાની કાયદાકીય જવાબદારી આ પુરવઠા નિગમની છે અને આ જવાબદારી પૂર્ણ કરવા માટે થઈને જ પુરવઠા નિગમ દ્વારા સરકાર દ્વારા ૪૫ દિવસની સાયકલ અમલમાં લાવી અને ઘઉં ચોખાનો જથ્‍થો ગુજરાતની તમામ દુકાનો ઉપર ચાલુ માસની સાત તારીખમાં પહોંચી જાય એ માટે કડક સૂચના આપેલ છે છતા પણ અન્ન સુરક્ષા કાયદો અને સરકારની કડક સુચનાને પુરવઠા નિગમ ધોળીને પી ગયું છે.

સરકારની અન્‍ય કલ્‍યાણકારી યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતા ખાંડ, મીઠું, ચણા, તુવેરદાળ પણ નિયમિત રીતે દુકાનો સુધી પહોંચતુ નથી નિગમ દ્વારા અનિયમિત રીતે પહોચાડવામા આવે છે ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં નિગમ દ્વારા તુવેર દાળ અને ચણાનો જથ્‍થો ખૂબ જ અનિયમિત રીતે માસના અંતમાં આપવામાં આવે છે છેલ્લા એક વર્ષના નિગમના રિપોર્ટ તપાસશો તો આપ ને જાણવા મળશે કે આ જથ્‍થો લાભાર્થીઓને માત્ર ૪૫%સુધી જ મળ્‍યો છે મોટાભાગે માસની ૨૨ તારીખ લઈને ૩૦ તારીખ સુધીમાં એટલે કે મહિનાના અંતમાં દુકાન સુધી આ જથ્‍થો પહોંચાડવામાં આવે છે જેના પરિણામે નિગમ પોતાની કામગીરી પૂર્ણ થઈ જાય છે પણ લાભાર્થીઓ ને જથ્‍થો મળતો નથી.

આ રજુઆતો છતાં આનો ઉકેલ ન આવતા એસો. લોકસભા ચૂંટણી બાદ તરત જ પુરવઠા નિગમ સામે આશ્‍ચર્યજનક કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં આપશે જેના પરિણામે લોકોમાં સરકારની છબી ખરડાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. છેલ્લા ચાર પાંચ વર્ષથી પુરવઠા નિગમ સરકારની કલ્‍યાણકારી યોજનાઓનો જથ્‍થો સમયસર તહેવારો કે લોકસભા જેવી ચૂંટણીમાં પણ ન આપીને કે ઓછો આપીને લોકોમાં સરકાર પ્રત્‍યે અણગમો ઉત્‍પન્ન કરવાનું કામ સુપેરે કરી રહ્યું છે અને પુરવઠા નિગમની મનમાનીનો ભોગ લોકોની સાથે દુકાનદારો પણ બની રહ્યા છે.

ઉપરોક્‍ત રજૂઆત અંગે આપશ્રી ખૂબ જ ધ્‍યાન આપી દુકાનદારોને પડતી મુશ્‍કેલી બાબતે યોગ્‍ય નિર્ણય લેશો અને આ બાબતે અધ્‍યક્ષતામાં એસો. સાથે એક મિટિંગ માટેનો સમય ફાળવી આપો એવી વિનંતી છે, તાકિદનો પત્ર પ્રમુખશ્રી રાજેન્‍દ્રસિંહ જાડેજા, દિનુભા જાડેજા, વાડીલાલભાઇ પટેલે પાઠવ્‍યો છે

(12:15 pm IST)