Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પથ્થરમારામાં BJP નેતા ઘાયલ, મંત્રીના ઘર નજીક બોમ્બ મળ્યો

પ.બંગાળમાં વોટિંગ ટાણે જ બબાલઃભાજપે આરોપ લગાવ્યો કે, ચાંદમારીમાં મતદારોને રોકવા માટે ટીમએસી કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો

કોલકાતા, તા.૧૯

પશ્ચિમ બંગાળથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થયાના સમાચાર છે. અહીં કૂચ બિહારના ચાંદમારી ગામ પાસે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, ચાંદમારીમાં મતદારોને રોકવા માટે ટીમ એસીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ભાજપના પોલિંગ એજન્ટ ઘાયલ થયા છે. અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકના ઘર પાસે બોમ્બ હોવાની માહિતી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો. તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે પશ્ચિમ બંગાળની ત્રણ સીટો પર મતદાન થઈ રહ્યું હતું.

હિંસાના મોટાભાગના અહેવાલ કૂચ બિહારના ચાંદમારી વિસ્તારમાંથી આવ્યા છે. બીજેપી બૂથ પ્રમુખ લોબ સરકાર પર હુમલાને લઈને તણાવ વધી ગયો. માથામાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એ જ રીતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થતાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને પણ માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. રાજાખોરા વિસ્તાર અને કૂચ બિહારમાં પણ આવો જ તણાવ છે. આ વિસ્તારમાં શાસક અને વિરોધ પક્ષના કાર્યકરો વચ્ચે હુમલાઓ અને વળતા હુમલા થયા હતા, જેના પગલે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં કુચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી લોકસભા સીટો પર શુક્રવારે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. મતદાન સવારે ૭ વાગ્યાથી શરૃ થયું હતું અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું એમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા આ ત્રણ મતવિસ્તારમાંથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક સહિત કુલ ૩૭ ઉમેદવારો મેદાનમાં છે. આ ત્રણેય બેઠકો પર કુલ ૫૬.૨૬ લાખ લોકો મતદાન કરવા પાત્ર છે. ત્રણેય બેઠકો અનામત છે. કૂચ બિહાર અને જલપાઈગુડી અનુસૂચિત જાતિ માટે અને અલીપુરદ્વાર અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે.

(10:13 pm IST)