Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રેલ્વે સ્ટેશને ૬૭ મુસાફરોનો કરાયો કોરોના ટેસ્ટ : એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

પુરી-ઓખા સ્પેશ્યલ ટ્રેનનાં મુસાફરોનું મનપા દ્વારા એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપઃ પોઝિટિવ દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ અને અન્ય મુસાફરો સંપૂર્ણ સ્વસ્થ

રાજકોટ,તા. ૧૫: રાજકોટ બહારથી આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતા રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે સાથે મળીને કોરોના પોઝિટિવ દર્દી કે શરદી, ઉધરસ કે તાવના દર્દીઓને શોધી કાઢી તેઓને ત્વરિત સારવાર મળી રહે તેવું આયોજન કર્યું છે. જેમાં જરૂરિયાત મુજબ મુસાફરોના સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવે છે. અંતર્ગત આજે ઓડિસાના પૂરી ખાતેથી ઓખા જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનનું સવારે ૦૭-૫૦ વાગ્યે રાજકોટ જંકશન ખાતે આગમન થયું હતું અને જેમાંથી ૬૭ મુસાફરો રાજકોટ જંકશન ખાતે ઉતર્યા હતા અને મનપાના આરોગ્ય શાખા દ્વારા તમામ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ જેમાંથી એક મહિલાને કોરોના પોઝિટિવ નોંધાયો હતો અને તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે, તેમજ અન્ય મુસાફરો સંપૂર્ણ સ્વસ્થ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વહેલી સવારે ઓડિસાના પૂરી ખાતેથી રાજકોટ જંકશન ખાતે આવી પહોંચેલી સ્પેશિયલ ટ્રેનમાં આવેલ મુસાફરોનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ અને એન્ટીજન ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ ટ્રેનમાંથી કુલ ૬૭ મુસાફરો રાજકોટ જંકશન ખાતે ઉતર્યા હતા, સ્ટેશન ખાતે મનપાની આરોગ્ય ટીમ પહેલેથી જ સજ્જ હતી જેમણે આવતા મુસાફરોના ટેસ્ટીંગ અને ચેકઅપ કામગીરી કરી હતી તેમજ મુસાફરોના સામાનને સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. આવેલ ટ્રેન ૦૮:૧૧ વાગ્યે રાજકોટ સ્ટેશન પરથી ઉપાડી આગળના સ્ટેશન ખાતે જવા રવાના થઇ ગઈ હતી.

(3:41 pm IST)