Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાજનગરના રમેશભાઇ સોલંકી મેટોડાની કંપનીએ એકાએક ઢળી પડ્યાઃ મોત

હાર્ટએટેક આવી ગયોઃ બીજા બનાવમાં આદિત્યાણાના જીતેન્દ્રભાઇ અમૃતિયાનું રાજકોટમાં સાળાના ઘરે બેભાન થયા બાદ મોત

રાજકોટ તા. ૧૯ઃ શહેરના નાના મવા રોડ પર રાજનગર ચોકમાં નહેરૃનગરમાં રહેતાં રમેશભાઇ મેપાભાઇ સોલંકી (ઉ.વ.૫૨) મેટોડા ખાતે મેકપાવર સીએનસી કંપની ખાતે હતાં ત્યારે નજીકમાં એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું.

રમેશભાઇ સોલંકી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. સાંજે પાંચેક વાગ્યે બસ લઇને નીકળવાનું એ પહેલા તે ચા પીવા ગયા હતાં. ચા પીને છાંયામાં બેઠા હતાં ત્યારે એકાએક બેભાન થઇ ગયા હતાં. સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ અને ભાવેશભાઇ મકવાણાએ મેટોડા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં રાણાવાવના આદિત્યાણા ગામે રહેતાં જીતેન્દ્રભાઇ પરષોત્તમભાઇ અમૃતિયા (ઉ.વ.૪૮) રાજકોટ ઓમનગર ૪૦ ફુટ રોડ પર પ્રજાપતિ સોસાયટી-૫માં સાળા મનસુખભાઇ પાડલીયાને ત્યાં હતાં ત્યારે રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં તાલુકા પોલીસના કિરીટભાઇ રામાવત સહિતે કાર્યવાહી કરી હતી. લિવરની બિમારીથી મૃત્યુ થયાનું જણાવાયું હતું. મૃતક એકલા જ રહેતાં હતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે.

(12:23 pm IST)