Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

મનને જીત્‍યુ અને બન્‍યા મહાવીર

રવિવારે ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ

પરમ કૃપાળુ પરમાત્‍મા ત્રિલોકીનાથ વીર વર્ધમાન - મહાવીરનો આત્‍મા કર્મના સંયોગે ઋષભદત્ત બ્રાહ્મણના ઘેર માતા દેવાનંદાની કુક્ષિમાં ૮૨ રાત્રિ રહ્યા બાદ દેવો દ્રારા ગર્ભનું સંહરણ થયું.

માતા ત્રિશલાને અર્ધ જાગૃત અવસ્‍થામાં હાથી,દેવ વિમાન આદિ ૧૪ મહા સ્‍વપ્‍ન આવ્‍યાં. ત્રિશલા માતાએ ધર્મ જાગરિકા કરતાં રાત વ્‍યતિત કરી અને સુપ્રભાત થતાં જ સિધ્‍ધાર્થ રાજાને સપનાની વાત કરી.રાજાએ કુશળ સ્‍વપ્‍ન પાઠકોને બોલાવી સપનાનું ફળ બતાવવા આજ્ઞા કરી.સ્‍વપ્‍ન પાઠકોએ કહ્યું હે મહારાજા ધિરાજ !

તમારે આંગણે જગતનો નાથ,કરૂણાસાગર,સિંહ જેવો શૂરવીર,ચંદ્ર જેવો નિર્મળ,સૂર્ય જેવો ઓજસ્‍વી અને તેજસ્‍વી મહાપુરુષ અવતરશે.

માતા ત્રિશલાની કૂખે ગર્ભ ધારણ થતાં જ સારાયે ક્ષત્રિયકૂંડ નગરમાં ધન - ધાન્‍ય આદિ અપરંપાર વૃદ્ધિ થવા લાગી. ગર્ભકાળ પૂર્ણ થતાં જ ચૈત્ર સુદ તેરસના દેવાધિદેવનો જન્‍મ થયો.

૬૪ ઈન્‍દ્રો,૫૬ દિશા કુમારીકાઓ તથા મનુષ્‍ય લોકના માનવીઓએ જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ આનંદોલ્લાસ પૂર્વક ઊજવ્‍યો.ત્રણે લોકમાં પ્રકાશ - અજવાળા પથરાઈ ગયાં. માતા - પિતાએ ગુણ નિષ્‍પન એવું ‘વર્ધમાન'નામ રાખ્‍યું.

જૈનાગમ સૂયગડાંગ સૂત્ર અધ્‍યયન ૬,અનુસાર ભગવાન મહાવીરના વીર,વર્ધમાન,સન્‍મતિ, વૈશાલિક,જ્ઞાત પુત્ર વગેરે નામોલ્લેખ છે.

પ્રભુ મહાવીરે સતત સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી આર્ય અને અનાર્ય દેશમાં,કયારેક ઉદ્યાનમાં તો કયારેક જંગલમાં વિચરણ કરી દેવ,મનુષ્‍ય અને તિર્યચકૃત અનેક પરિષહો અને ઉપસર્ગોને હસતાં મુખે સમતા ભાવે સહન કરી જગતને સંદેશો આપ્‍યો કે..‘સહિષ્‍ણુતા એ શ્રેષ્ઠ ધર્મ છે'.

પ્રભુ મહાવીરના શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો, ૩૬૦૦૦ શ્રમણીઓ (સાધ્‍વીજીઓ),૧,૫૯,૦૦૦ શ્રમણોપાસકો,૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ હતાં. જેમાં મગધ અને અંગ દેશના અધિપતિ સમ્રાટ શ્રેણિક મહારાજા, ચંપા નરેશ કોણીક જેવા ભક્‍તો પણ હતાં કે જેઓ પ્રભુના મંગલ પદાર્પણના સમાચાર આપનારનું દારિદ્ર દૂર કરી દેતાં.

પ્રભુએ કર્મ સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી વૈશાખ સુદ દશમના ગોદુ આસને ચોથા પ્રહરમાં છઠ્ઠ તપની આરાધના સાથે ધ્‍યાનસ્‍થ અવસ્‍થામાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કર્યુ. અસંખ્‍ય દેવોએ કેવળ મહોત્‍સવ ઊજવ્‍યો.કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી જ પ્રભુએ ઉપદેશ - ધર્મ દેશના આપવાનું શરૂ કર્યું.

જૈનાગમ શ્રી સુયગડાંગ સૂત્રમા આગમકાર ભગવંતોએ ફરમાવ્‍યુ કે દાનમાં અભયદાન,તપમાં બ્રહ્મચર્ય,ઉપવનોમાં નંદનવન,ધ્‍વનિઓમાં મેઘ ધ્‍વનિ,હાથીઓમાં ઐરાવત,પશુઓમાં સિંહ,પક્ષીઓમાં ગરૂડ,નદીઓમાં ગંગા તેમ મુનિઓમાં,જ્ઞાનીઓમાં, તપસ્‍વીઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતાં.અઢાર દેશના રાજા - મહારાજાઓ અને વિશાળ જન મેદની સમક્ષ પરમ પૂણ્‍યશાળી પાવાપુરીના પ્રાંગણે પ્રભુએ પોતાની અંતિમ ધર્મ દેશના - ઉપદેશ સ્‍વરૂપે શ્રી ઉત્તરાધ્‍યયન સૂત્ર અને શ્રી વિપાક સૂત્રની વાંચના આપી.જીવનરૂપી દીવામાંથી આયુષ્‍યરૂપી તેલ પૂર્ણ થવામાં હતું ત્‍યારે કોઈ પ્રાર્થના કરે કે હે પ્રભુ ! માત્ર બે ઘડીનું આપનું આયુષ્‍ય વધારી અમારી ઉપર કૃપા કરો.આ સાંભળી ત્રિલોકીનાથ પ્રત્‍યુત્તર આપે કે ન ભૂતો,ભવિષ્‍યતિ,ન અઠ્ઠે,ન સમઠ્ઠે અર્થાત્‌ ભૂતકાળમાં આવું કદી થયું નથી,ભવિષ્‍યમાં કદી થશે નહીં. મૃત્‍યુને પાછુ ઠેલવવામાં કોઈ સમર્થ નથી.આસો વદ અમાસના પ્રભુનો આત્‍મા આઠેય કર્મોથી મુક્‍ત થઈ ૭૨ વર્ષનું આયુષ્‍ય પરીપૂર્ણ કરી અનંતા સિદ્ધ ભગવંતોની સાથે જયોતમાં જયોત મિલાવી નિર્વાણ પામી સિદ્ધ, બુધ્‍ધ અને મુક્‍ત થયા.

સંકલનઃ

મનોજ ડેલીવાળા

મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

 

(4:27 pm IST)