Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

સમગ્ર સમાજનું હિત ધ્‍યાને રાખી કામ કરવાની સ્‍થાનિક ઉમેદવાર ભાવેશ આચાર્યની ગેરંટી

રાજકોટ તા. ર૦: લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે સામાજિક અગ્રણી, પીઢ પત્રકાર અને બેન્‍ક યુનિયન આગેવાન ભાવેશભાઇ આચાર્ય એ રાજકોટ લોકસભા બેઠક પરથી જિલ્લા કલેકટરશ્રી રાજકોટ સમક્ષ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું.આ પ્રસંગે તેમણે પોતાની ઉમેદવારી ભરવાના કારણો દર્શાવતા જણાવેલ કે, રાજકોટ, સૌરાષ્‍ટ્રના પ્રાણ પ્રશ્‍નોને ઉજાગર કરવા અને ગુજરાતના અન્‍ય પ્રદેશોની જેમ સૌરાષ્‍ટ્ર પ્રદેશનો સમતોલ વિકાસ થાય તે અંગે સમાજ અને રાષ્‍ટ્રનું ધ્‍યાન દોરવા ઉમેદવારી કરી હોવાનું જણાવ્‍યું હતું.ભૂતકાળમાં અલગ સૌરાષ્‍ટ્ર માટે આંદોલન કરનાર અને આ જ હેતુસર લોકસભા ચુંટણી લડનારા જયહિંદના તંત્રી બાબુભાઇ શાહ અને રતીલાલભાઇ તન્‍નાને યાદ કરી જણાવવાનું કે, મારી ઉમેદવારી અલગ સૌરાષ્‍ટ્ર માટે નથી પરંતુ રાજકોટ, સૌરાષ્‍ટ્રના પ્રશ્‍નોનું ધ્‍યાન દોરી તેનો ઉકેલ લાવવા માટે છે. રાજકોટ શહેર અને જિલ્લાના સમજુ મતદારો આ દિશામાં વિચારશે તેનો મને વિશ્‍વાસ છે અને સૌરાષ્‍ટ્રના પ્રશ્‍નો માટે લડનારા વ્‍યકિત તરીકે સાંસદ લોકસભામાં મને પ્રતિનિધિત્‍વ અપાવશો તેવો સંપૂર્ણ વિશ્‍વાસ મતદારો પર કરૂં છું.

(3:37 pm IST)