Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

દિકરી

રાત્રે દશ વાગ્યે આશ્રમના ફોનની ઘંટડી રણકી.

'હરિ ઓમ'

'હલો !' ને સ્થાને 'હરિ ઓમ' કહેવું અને સાંભળવું ગમે છે !

સામેથી પ્રતિભાવ મળ્યો.

'હરિ ઓમ ! હરિ ઓમ ! સાહેબ, મારે ભાણદેવજી સાથે વાત કરવી છે. આ તેમનો જ આશ્રમ છે ને ? ભાણદેવજી સાથે વાત થઇ શકશે ?'

'હું ભાણદેવ બોલું છું'

'ઓ હો હો ! નમસ્તે ! નમસ્તે ! આપને મારા કોટિ કોટિ નમસ્કાર!'

'કોટિ નમસ્કાર કૃષ્ણને ! આપણે માટે તો 'હરિ ઓમ' જ બરાબર છે.'

'ધન્ય હો ! ધન્ય હો ! સ્વામીજી ! હું... થી.... બોલું છું. મે આપનું પુસ્તક 'ગંગાસતીનું અધ્યાત્મ દર્શન' વાંચ્યુ છે, અનેકવાર વાંચ્યું છે. આ પુસ્તક મારા હૃદયમાં વસી ગયું છે. ભાણદેવજી મહારાજ એકવાર હું આપના દર્શન કરવા ઇચ્છું છું. મારે આપના આશ્રમે આવવું છે. આપ મને રજા આપો.'

'અરે ! મારા ભાઇ ! દર્શન તો ભગવાનના કરાય. માનવીના વળી દર્શન શું ? પણ તમે આવો. આપણે મળશું.'

'હાજી ! હાજી ! આપના વેણ માથે ચડાવું છું. હું આપના આશ્રમે જરૂર આવીશ. આપને કયારે મળવું અનુ કૂળ પડે ?'

'મળવાનો સમય સાંજે ૪.૦૦ થી ૬.૦૦'

'ભલે, બાપુ ! ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી'

ચારેક દિવસ પછી રાત્રે ફરીથી ફોન આવ્યો.

'હરિ ઓમ'

'હું...થી બોલું છું. મે આપને ચાર દિવસ પહેલા ફોન કર્યો હતો. હું સરકારી નોકરી કરૃં છું. મને રવિવારે આવવું અનુ કૂળ પડે. આવતીકાલે રવિવાર છે. આપ રજા આપો તો આવતીકાલે સાંજે ચાર વાગ્યે આપના આશ્રમે અમે આવીએ.'

'ભલે, આવો.'

'ભલે, બાપુ ! નમસ્કાર !'

'હરિ ઓમ'

બીજે દિવસે સાંજે તેઓ પોતાના બે મિત્રો સાથે આશ્રમે આવી પહોંચ્યા.

અમે આશ્રમના પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે જ બેઠા. અન્યોન્ય કુશળ સમાચાર પૂછયા.

પહેલા તો તેમણે આશ્રમના ઘેઘુર લીલા વૃક્ષો જોઇને આનંદ વ્યકત કર્યો, પ્રસન્નતા વ્યકત કરી. પછી મૂળ વાતનો પ્રારંભ કરતાં તેઓ બોલ્યા -

'બાપુ ! પહેલા તો મારે મારા જીવનની દાસ્તાન કહેવી છે. કહીને હળવા થવું છે. આપ મારી જીવનકથની સાંભળવાની કૃપા કરો. પછી સત્સંગ કરશું.'

'અરે ! જીવનની કથા એ જ સૌથી મોટો સત્સંગ છે. જીવનને બાજુમાં મૂકીને સત્સંગ આપણે નથી કરવો. આપણે તો જીવનનો સત્સંગ કરવો છે. તમે જરા પણ સંકોચ વિના જીવનકથની કહો એ જ સત્સંગ છે.'

'વાહ, બાપુ ! ધન્ય બાપુ ! આપે મને હળવો કરી દીધો. હવે હું સંકોચ વિના મારી દાસ્તાન કહી શકીશ.'

આટલી ભૂમિકા પછી તેમણે પોતાની જીવનકથની કહેવાનો પ્રારંભ કર્યો.

'હું સરકારી નોકરી કરું છું. હું એક નંબરનો લાંચિયો અધિકારી હતો. હું બેફામ દારૂ પીતો દારૂ વિના કોઇ દિવસ ખાલી ન જાય. સાંજના ચાર વાગે અને મને દારૂની તલબ ચડે. તલબ એટલે કેવી ? રહેવાય નહિ તેવી. જેમ રોજ સાંજ પડે, તેમ મારે રોજ દારૂ જોઇએ જ. તમે માનશો બાપુ ? હું હનુમાન ચાલીશાનો પાઠ દારૂ પીને કરતો. માંસાહાર પણ ખૂબ કરતો, દારૂ પીવો, માંસ ખાવું એટલે ધન પણ જોઇએ. એટલે લાંચ પણ ખૂબ લીધી છે.'

'દારૂ, માંસ અને લાંચ - આ ત્રણમાં મારૃં જીવન રગદોડાઇ ગયું. ઘર આખું દુઃખી દુઃખી થઇ ગયું. મને પણ વચ્ચે વચ્ચે મનમાં થતું - આ ખોટું થાય છે, પણ તેમાંથી બહાર નીકળવાનો કોઇ ઉપાય જણાતો નહિ.'

'પણ ઉપરવાળો કૃપાળુ છે. એક ધડાકે હું આ ત્રણેય બદ્દીઓથી સાવ મુકત થઇ ગયો. હું તો સુખી થયો, પણ આખું કુટુંબ રાજી રાજી થઇ ગયું.'

મેં તેમની અભિવ્યકિતને પ્રોત્સાહન આપતા કહ્યું-

'પણ આ બધું બન્યું કેવી રીતે ? તમે આમાંથી મુકત થયા કેવી રીતે?'

'હા, બાપુ ! એ જ તો કહું છું. એ જ તો મારે કહેવું છે !'

આટલું બોલીને તેઓ થંભી ગયા. થોડીવાર અટકીને તેમણે બોલવાની પ્રારંભ કર્યો, પણ મુખમાં શબ્દો નીકળે ત્યાર પહેલા તો આંખમાંથી આંસુ નીકળવા માંડયા. ગળે ડૂમો ભરાઇ ગયો. આંસુને ખાળવાનો અને ડૂમાને નીવારવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ તેમ બની શકયું. ચોધાર આંસુ વહેવા લાગ્યા અને પછી તો ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. જાણે બંધ છૂટી ગયા.

આંસુ વહી ગયા, ધ્રુસકા શાંત થઇ ગયા અને પોતે પણ શાંત થઇ ગયા. આંસુ લૂંછીને, થોડું પાણી પીને તેમણે પ્રારંભ કર્યો-

આષાઢ માસના શુકલ પક્ષની ત્રયોદશીથી કૃષ્ણ પક્ષની દ્વિતીયા સુધી કન્યાઓ જયા પાર્વતીના વ્રત કરે છે. તદનુસાર મારી દિકરીએ પણ વ્રતનો પ્રારંભ કર્યો. દિકરી સોળ વર્ષની છે. આપણે સૌ જાણીએ છીએ કે કન્યાઓ ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે. કહેવાય છે કે ભગવતી પાર્વતીજીએ પતિરૂપે શિવજીને પામવા માટે આ વ્રત કર્યું હતું.

દિકરી વ્રત કરે છે અને સૌ તેના વ્રતમાં સહાયભૂત થઇએ. મને મારી દિકરી પર ખૂબ હેત. પિતાને દિકરી પર હેત જ હોય ને !

વ્રતના આ દિવસો દરમિયાન એક વાત મારી આ દિકરી, દિકરીની મા, મારો દિકરો અને મારી બીજી નાની દિકરી સૌ બેઠા હતા.

મેં મારી દિકરીને પૂછયું-

'બેટા ! તમ સૌ દિકરીઓ આ જયા પાર્વતીના વ્રત શા માટે કરો છો- એની તને ખબર છે ?'

દિકરી પહેલા તો શાંત રહી, જાણે અંતરમાં કાંઇક શોધતી હોય તેમ શાંત રહી. અને પછી જાણે શોધીને બહાર લાવી હોય તેમ બોલી-

'પપ્પા ! સૌને ખબર છે, તેમ મને પણ ખબર છે કે અમે સૌ કન્યાઓ સારો પતિ મેળવવા માટે વ્રત કરીએ છીએ. પણ એ તો બહુ દૂરની વાત છે. મારા મનમાં એવો કોઇ ભાવ નથી.'

'તો બેટા ! તારા મનમાં શો ભાવ છે ?'

દિકરી ગંભીર બની ગઇ. તેનો લાલ ચહેરો વધુ લાલ બની ગયો. આંખો સ્થિર અને પહોળી બની ગઇ. તે ગંભીરભાવે અને જોશભેર બોલી-

'પપ્પા ! એ ભાવને તમે સમજી શકશો ? એ ભાવને તમે ઝીરવી શકશો?'

મને લાગ્યું કે દિકરી કોઇક વિશેષ મહત્વપૂર્ણ વાત કહેવા માગે છે. અમે સૌ ગંભીર અને આતુર બની ગયા. વાતાવરણ કાંઇક ગંભીર અને ઉત્તેજનાપૂર્ણ બની ગયું.

હું કાંઇક ખસિયાણો પડી ગયો. પણ આખરે મેં કહ્યું- 'હા, દિકરી ! તારા ભાવને હું જરૂર સમજીશ. દિકરીના ભાવને બાપ ન સમજે તો બીજું કોણ સમજે ?'

દિકરીને જાણે સત ચડયું. તેની આંખોમાંથી તેજના કિરણો ફેલાવા લાગ્યા અને જાણે તેની નાભિમાંથી વાણી નીકળી-

'તો સાંભળી લો, પપ્પા ! હું સારો પતિ મેળવવા માટે નહિ, પરંતુ સારો પિતા મેળવવા માટે આ જયા-પાર્વતીનું વ્રત કરૃં છું. હું જગદંબા ભવાની પાસે કાકલૂદી કરીને રોજ રોજ માગું છું- મને સારો પિતા આપ. મારા પિતા દારૂમાંથી મુકત થાય, મારા પિતા માંસાહારમાંથી મુકત થાય, મારા પિતા લાંચની બદ્દીમાંથી મુકત થાય. જોગમાયા ! જો મારૃં વ્રત સાચું' હોય, જો તું મારા વ્રતથી પ્રસન્ન હો તો મા! મને એટલું આપ-મારા પિતા પવિત્ર જીવન પામે અને તેમના થકી અમારા આખા પરિવારમાં પવિત્રતા અને પ્રસન્નતા છલકાઇ ઊઠે.'

દિકરીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડયા. અમે સૌ સ્તબ્ધ બની ગયા. આ દિકરીના હૃદયમાંથી જાણે જગદંબા ભવાની જ બોલતા હોય તેમ અમને લાગ્યું. દિકરીના સાવ સાચકલાં આંસુ અને તેના આંસુભીના શબ્દોએ મારા હૃદયને ભેદી નાખ્યું. મેં ચોધાર આંસુએ રડતાં રડતાં દિકરીને વચન આપ્યું- 'બેટા! મારી દિકરી! મારી માં! તારું જયા-પાર્વતીનું વ્રત ફળ્યુ છે. હું તને જગદંબાની સાક્ષીએ વચન આપું છું - આજથી દારૂ, માંસ અને લાંચ મારે હરામ છે. તું તો અમારા કુળની દેવી છે! હવેથી આ જન્મે કદી દારૂ પીશ નહિ, માંસાહાર કરીશ નહિ અને લાંચ સ્વીકારીશ નહિ.'

દિકરી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં મને ભેટી પડી. આખું કુટુંબ ધ્રુસકે ચડયું. કોણ કોને છાનું રાખે?

આખરે અમારા કુટુંબનું છેલ્લું સમૂહ રૂદન હતું. હવે કુટુંબમાં પવિત્રતા છે, સાત્વિકતા છે અને તેથી ભરપુર પ્રસન્નતા છે.

પોતાના જીવનની આ કથની તેમણે કહી, આટલું કહેતાં કહેતાં તેમની આંખોમાં ફરી આંસુ છલકાયા.

હવે બોલવાનો વારો મારો હતો - આ તમારી દિકરીએ માતાનું કામ કર્યુ છે. ગાંધીજી જયારે ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેમની માતા પુતળીબાઇએ તેમને ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. ૧. માંસ નહિ ખાઉં ૨. દારૂ નહિ પીઉં ૩. ચારિત્ર્ય જાળવીશ

આ તમારી દિકરીએ માતા પુતળીબાઇનું કાર્ય કર્યુ છે. હવે આ પ્રતિજ્ઞાઓ પાળજો.

તમે ભાગ્યવાન છો કે તમને આવી દિકરી મળી છે. ભગવાન સૌ ગૃહસ્થોને આવી દિકરીઓ આપે!

: આલેખન :

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(11:28 am IST)