Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

દુષ્કર્મ ગુજારનાર આરોપી ફરાર ચોતરફ શોધખોળઃ નાના એવા વરવાળા ગામમાં શોકનું મોજ

સગીરાના પિતાને દુષ્કર્મ અંગેની વાણ થતા ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી

જામનગર, તા., ૭: જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા પર બાજુના જ ગામવાળા શખ્સ દ્વારા ધાકધમકી આપી બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા ચકચાર જાગી છે.

એટલું જ માત્ર નહીં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની તેના પિતાને જાણ થઇ જતા પિતાએ પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને લઇને નાના એવા વરવાળા ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. જામજોધપુર પોલીસે દુષ્કર્મ અંગેની ફરીયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા કે જે હાલ પુખ્ત વયની થઇ છે. પરંતુ આજથી છ માસ પહેલા તેણીને છરીની અણીએ ધમકી આપી બાજુના જ વિલાસપુર ગામમાં રહેતો અશ્વીન ભીમશીભાઇ વાઢીયા નામનો શખ્સ કે જેણે બે વખત સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બનાવ અંગે કોઇને જાણ કરશે તો તેના ભાઇ તથા પિતાને મારી નાખશે તેવી ધમકી આપી હતી. પરંતુ ડરના કારણે સગીરા જે તે વખતે ચૂપ રહી હતી. પરંતુ તાજેતરમાં જ ગત રર મી તારીખે સગીરાના પિતાને દુષ્કર્મ અંગેની જાણકારી મળી ગઇ હતી. જેથી તેઓ આઘાતમાં સરી પડયા હતા અને પિતાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનું પગલું ભરતા તેને સૌ પ્રથમ સારવાર માટે ઉપલેટા અને ત્યાર બાદ જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓનું ૩૦-૯-ર૦ના દિવસે મૃત્યુ નિપજયું હતું. જે આત્મહત્યાના બનાવની જામજોધપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી અને સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું માલુમ પડતા આખરે જામજોધપુર પોલીસ મથકમાં આરોપી અશ્વીન ભીમશીભાઇ વાઢીયા સામે આઇપીસી કલમ ૩૭૬ (ર) એન.પ૦૬-ર અને પોકસો એકટની કલમ ૪,૬ મુજબ ગુનો નોંધ્યો છે. જયારે સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં મોકલી આપી છે.

આ બનાવને લઇને નાના એવા વરવાળા ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. જામજોધપુર પોલીસે વિલાસપુર ગામમાં પહોંચી જઇ આરોપી અશ્વીન વાઢીયાની શોધખોળ હાથ ધરી છે.

(11:37 am IST)