Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સમાચારને રિશેરિંગ કરવાના કારણે અભિનેત્રી શ્રદ્ધા કપૂર સોશ્‍યલ મીડિયામાં ભારે ટ્રોલ થઇ

નવી દિલ્હી: બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને હાલમાં ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ટ્રોલ થવા પાછળ તેની ઇન્સ્ટા સ્ટોરી છે, જેમાં તેણે અખબારનું એક પેજ શેર કર્યું હતું, આ પેજમાં એક સમાચાર હતા કે, પ્રાણીઓ સામે હિંસા કરનાર લોકોને 75 હજાર રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની જેલ થશે. પરંતુ શ્રદ્ધાએ આ સમાચારને બાદમાં ક્રોપ કરી રીશેર કર્યા. આ રીશેરિંગના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

આ કારણે ટ્રોલ થઈ શ્રદ્ધા

પ્રાણીઓ સામે થઈ રહેલી હિંસાને લઇને એક નવો નિયમ લાગુ થયો છે. તેના અનુસાર પ્રાણીઓની સાથે હિંસા કરનાર લોકોને 75 હજાર રૂપિયાનો દંડ આપવો પડી શકે છે. આ સાથે જ તેને 5 વર્ષની સજા પણ થઈ શકે છે. શ્રદ્ધાએ આ નવા નિયમનું સ્વાગત કરતા તેને જલ્દીથી લાગુ કરવાની વાત કરી છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ સમાચારને લઇને પેપરનું એક કટિંગ શેર કર્યું અને જલ્દીથી જલ્દી લાગુ કરવાની માંગ કરી છે.

શ્રદ્ધા કપૂરે જે ન્યૂઝ પેપરનું કટિંગ સ્ટોરી પર શેર કર્યું હતું, તેમાં સલમાન ખાનની તસવીર પણ સામેલ હતી. તેમાં સલમાન ખાનના કાળિયાર શિકાર કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. એવામાં એક્ટ્રેસે આ વાત પર ધ્યાન આપ્યા વગર પોસ્ટ શેર કરી હતી. જો કે, થોડી વાર પછી તેનું ધ્યાન ગયું, તેણે તાત્કાલીક પેપરથી સલમાન ખાનનો ફોટો ક્રોપ કર્યો અને ફરી સ્ટોરી શેર કરી. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વાતને નોટિસ કરી અને હવે શ્રદ્ધા કપૂરને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

સલમાનના આ સમાચારને કર્યા હતા ક્રોપ

 તમને જણાવી દઇએ કે, અખબારમાં છપાયેલા સલમાન ખાનને લગતા એક સમાચાર આવ્યા હતા કે, સલમાને કોંકણી કાળિયાર શિકાર કેસમાં સરકારને અપીલ કરી હતી, તેણે વર્ચ્યુઅલ હાજરી દ્વારા જામીન બોન્ડ ભરવાની મંજૂરી કોર્ટે દ્વારા મળી ગઈ છે. જેનો અર્થ છે કે, સલમાન ખાન મુંબઇથી જ વર્ચ્યુઅલ હાજરી નોંધાવી શકશે. તમને જણાવી દઇએ કે, સલમાન ખાને સતત 17 વખત હાજરીની માફી લીધી છે. આ સ્થિતિમાં 6 ફ્રેબ્રુઆરીએ તેને માફી મળવાની સંભાવના ઓછી હતી. કોઈપણ સંજોગોમાં તેને કોર્ટમાં હાજર થવા માટે જોધપુર આવવું જ પડતું. જોધપુર આવવાનું ટાળવા માટે આ અરજી હવે સલમાન ખાન દ્વારા કરવામાં આવી હતી જેની મંજૂરી તેને મળી ગઈ છે.

(4:41 pm IST)