Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

અભિનેત્રી કંગના રનૌત ઉપર અનિલ કપૂર ફીદાઃ કરણ જોહરે જ્‍યારે પૂછ્‍યુ કે, એક મહિલાનું નામ જણાવો જેના માટે તે પત્‍નીને પણ છોડી શકે છે તો અનિલ કપૂરે મજાકમાં કંગના રનૌતનું નામ લીધુ

વારંવાર નિવેદનના કારણે વિવાદમાં રહેતી અભિનેત્રી આ વખતે ‘સંબંધ'ના કારણે ચર્ચામાં

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત છાશવારે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેનું નામ કોઈ અન્ય કારણસર મીડિયામાં છવાયેલું છે. એવા રિપોર્ટ છે કે એક અભિનેતા કંગના રનૌતના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો છે કે તેની પત્નીને છૂટાછેડા આપવા પણ તૈયાર છે. હવે આ ખબર મીડિયામાં આગની જેમ ફેલાઈ રહી છે અને તેમને એ અભિનેતાનું નામ જાણીને ખુબ નવાઈ પણ લાગશે.

આ અભિનેતાના નામનો થયો ખુલાસો

એક ઈન્ટરવ્યુમાં જ્યારે અરબાઝ ખાને અનિલ કપૂરને પૂછ્યું કે આખરે તેમની જવાનીનું રહસ્ય શું છે? અભિનેતાએ કહ્યું કે મને લાગે છે કે ભગવાને આપણને જે જિંદગી આપી છે તેની મજા લેવી જોઈએ. ભગવાનની દયા છે કે તેમના આશીર્વાદથી જિંદગી સારી રીતે પસાર થઈ રહી છે. બધા પાસે 24 કલાક હોય છે તેમાંથી ઓછામાં ઓછો એક કલાક તો તમે તમારા માટે કાઢી જ શકો છો.

પત્નીને આપી શકે છે છૂટાછેડા!

અનિલ કપૂર આ ઉંમરે પણ યુવા દેખાય છે તેના કારણે તેમની ફિમેલ ફેન્સ તો ખુબ છે પરંતુ શું તમે જાણો છો કે ઈન્ડસ્ટ્રીમાં એક અભિનેત્રી એવી પણ છે જેના પર અનિલ કપૂર ફીદા છે. તેમની દીવાનગી એ હદે છે કે તેઓ તેના માટે પત્નીને છૂટાછેડા પણ આપી શકે છે. આ અભિનેત્રીનું નામ છે કંગના રનૌત. આ વાતનો ખુલાસો અનિલ કપૂરે કરણ જૌહરના શો કોફી વિથ કરણ માં કર્યો હતો. જ્યારે કરણે અનિલને પૂછ્યું કે એક મહિલાનું નામ જણાવો કે જેના માટે તેઓ પત્નીને પણ છોડી શકે છે.  તેના પર અનિલે મજાકમાં કંગના રનૌત તરફ ઈશારો કર્યો અને તેનું નામ લીધું.

કંગનાનું વર્કફ્રન્ટ

કંગના રનૌતની વાત કરીએ તો આ મામલે તેનું કોઈ રિએક્શન આવ્યું નથી. અભિનેત્રી હાલ ખુબ વ્યસ્ત છે. એક પછી એક તે અનેક ફિલ્મોના શૂટિંગ પૂરા કરી રહી છે. તેની આવનારી ફિલ્મોની વાત કરીએ તો આગામી વર્ષ સુધીમાં ધાકડ, અને તેજસમાં તે જોવા મળશે. કંગનાની હાલમાં જ થલાઈવી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આશા કરતા ઓછું પ્રદર્શન કરી શકી.

(4:21 pm IST)