Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જો કોરોના મહામારી ના આવી હોત તો આલિયા સાથે લગ્ન કરી લીધા હોતઃ રણબીર કપૂર

લોકડાઉન દરમિયાન આલિયા ભટ્ટે ઘણા કલાસ અટેન્ડ કર્યા જયારે રણબીર કપૂરે ફિલ્મો જોઈને સમય વિતાવ્યો હતો

મુંબઇ,તા. ૨૫: ૨૦૨૦ની શરૂઆતથી ચર્ચા હતી કે વર્ષના અંતે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરી લેશે. જો કે, કોરોના મહામારીએ બધું જ બદલી નાખ્યું. રણબીરે કપૂરે હાલમાં જ લગ્નની વાતની પુષ્ટિ કરી છે. રણબીરના કહેવા પ્રમાણે, જો મહામારીના કારણે જીવનમાં ઉથલપાથલના સર્જાઈ હોત તો તેણે આલિયા સાથે લગ્ન કરી લીધા હોત.

હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે કહ્યું છે કે, જો કોરોના મહામારી ના હોત તો તેણે આલિયા સાથેનો સંબંધ પાકો કરી લીધો હોત. રણબીરે કહ્યું કે, તે પોતાના જીવનમાં લગ્નના ખાનામાં જલદી જ ટીક કરી દેવા માગે છે.

આ ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે પોતાની લેડીલવ આલિયા વિશે દિલ ખોલીને વાત કરી છે. લોકડાઉન દરમિયાન આલિયા અને રણબીરે શું કહ્યું તે વિશે વાત કરતાં એકટરે કહ્યું, તેની ગર્લફ્રેન્ડ આલિયા ઓવર-અચિવર (વધુ મેળવનાર) છે. આલિયાએ લોકડાઉન દરમિયાન ગિટારથી લઈને સ્ક્રીનરાઈટિંગ સુધીના શકય હોય તેટલા તમામ ઓનલાઈન કલાસ ભર્યા હતા. રણબીરના કહેવા પ્રમાણે, આલિયાની સામે તે હંમેશા પોતાને અંડર-અચિવર ગણે છે. લોકડાઉન દરમિયાન રણબીરે પોતે કોઈ કલાસ ન ભર્યા હોવાની પણ ચોખવટ કરી છે.

રણબીરના જણાવ્યા અનુસાર, વર્ષની શરૂઆતમાં પરિવાર મુશ્કેલીમાં હતો. બાદમાં તેણે વાંચન માટે સમય કાઢ્યો, પરિવાર સાથે સમય વિતાવ્યો અને રોજની બે-ત્રણ ફિલ્મો જોઈ. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં રણબીર કપૂરના પિતા અને એકટર ઋષિ કપૂરનું અવસાન થયું હતું. જે બાદ રણબીર અને બહેન રિદ્ઘિમાએ સતત મા નીતૂ કપૂરનું ધ્યાન રાખ્યું હતું. તો આલિયા ભટ્ટ પણ આ કપરા સમયમાં કપૂર ફેમિલીની પડખે રહી હતી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે જયારથી પોતાની રિલેશનશીપ જાહેરમાં સ્વીકારી છે ત્યારથી તેઓ જયારે પણ સાથે દેખાય ત્યારે ચર્ચા ચોક્કસ થાય છે. રણબીર અને આલિયા 'બ્રહ્માસ્ત્ર' દ્વારા પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે દેખાશે. આ ફિલ્મ અયાન મુખર્જીએ ડાયરેકટ કરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુના અક્કીનેની અને મૌની રોય મહત્વના રોલમાં છે. રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ પાસે 'ગંગુબાઇ કાઠિયાવાડી', 'RRR' અને 'તખ્ત' જેવી ફિલ્મો છે. તો રણબીર કપૂર 'શમશેરા' ઉપરાંત શ્રદ્ઘા કપૂર સાથે એક ફિલ્મ કરી રહ્યો છે.(૨૨.૪)

(10:09 am IST)