Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

2020માં બોલિવૂડે અનેક મોટા સિતારાઓને ગુમાવી દીધાઃ સુશાંતસિંહ રાજપૂત કેસ સતત ચર્ચામાં રહ્યો

અમદાવાદઃ વર્ષ 2020 પૂરું થવાના આરે છે. કોરોના વાયરસના કારણે લોકોને આ વર્ષે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ તેની અસર જોવા મળી. 2020 ઈન્ડસ્ટ્રી માટે કોઈ ખરાબ સપનાથી ઓછું નથી રહ્યું. એકબાજુ ઈન્ડસ્ટ્રીનું કામ-કાજ બંધ થઈ ગયું હતું. તો બીજી બાજુ અનેક મોટા સિતારાઓ ગુમાવી દીધા. રિશી કપૂર-ઈરફાન ખાનથી લઈ સુશાંત સિંહ રાજપૂત જેવા અનેક મોટા સિતારાઓએ 2020માં દુનિયાને અલવિદા કહ્યું. નવાબ બાનો ઉર્ફે નિમ્મી: જાણીતી અભિનેત્રી નિમ્મીએ 88 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. 26 માર્ચે તે આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તે અનેક મહિનાથી બીમાર હતા. મુંબઈની સરલા નર્સિગ હોમમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

ઈરફાન ખાન:

અભિનેતા ઈરફાન ખાનનું 29 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. ઈરફાન ખાને 54 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. ઈરફાન ઘણા લાંબા સમયથી બીમાર હતા. અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2018માં તેમણે દુનિયાને કેન્સર થયું હોવાની જાણકારી આપી હતી.

રિશી કપૂર:

દિગ્ગજ બોલિવુડ અભિનેતા રિશી કપૂરનું 30 એપ્રિલે અવસાન થયું. રિશી કપૂરને મુંબઈની હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેના પછી તે દુનિયા છોડીને ચાલ્યા ગયા. રિશી કપૂર 67 વર્ષના હતા અને કેન્સરથી પીડાતા હતા.

વાજિદ ખાન:

જાણીતા સંગીતકાર વાજિદ ખાને 1 જુને દુનિયાને અલવિદા કહ્યું. રિપોર્ટ પ્રમાણે વાજિદ ખાન કિડનીની બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. અને તેમની તબિયત ખરાબ થતાં મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડાક મહિના પહેલાં જ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. પરંતુ તેમની તબિયત સારી રહેતી ન હતી.

બાસુ ચેટરજી:

દિગ્ગજ ફિલ્મમેકર અને સ્ક્રીનરાઈટર બાસુ ચેટરજીનું 4 જૂને નિધન થયું. તેમણે મુંબઈમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમણે છોટી સી બાત, રજનીગંધા, બાતો બાતો મેં,  એક રૂકા હુઆ ફેંસલા અને ચમેલી કી શાદી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.

યોગેશ ગૌર:

જાણીતા ગીતકાર યોગેશ ગૌરે 2020માં દુનિયાને અલવિદા કહી દીધું. યોગેશ ગૌરનું 29 મેના રોજ નિધન થયું. તેમણે પોતાની કારકિર્દીમાં ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી સાથે શાનદાર કામ કર્યું હતું.

સુશાંત સિંહ રાજપૂત:

બોલિવુડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈમાં પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. તેમની આત્મહત્યાથી બોલિવુડના તમામ કલાકારો આઘાતમાં સરી પડ્યા. રિપોર્ટમાં સામે આવ્યું કે સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનની બીમારીથી પીડાઈ રહ્યો હતો.

સરોજ ખાન:

બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું 3 જુલાઈએ કાર્ડિયેક અરેસ્ટના કારણે નિધન થયું. સરોજ ખાન કેટલાંક સમયથી બીમાર હતા. સરોજ ખાને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એકથી એક શાનદાર ગીત આપ્યા છે.

જગદીપ જાફરી:

બોલિવુડના લેજન્ડરી એક્ટર અને કોમેડિયન જગદીપે જુલાઈ મહિનામાં આ દુનિયાને અલવિદા કહ્યું. તે 81 વર્ષના હતા. તેમનું સાચું નામ સૈયદ ઈશ્તિયાક  અહમદ જાફરી હતું. તેમનો જન્મ 29 માર્ચ 1939માં થયો હતો. જગદીપે 400થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું.

કુમકુમ:

દિગ્ગજ અભિનેત્રી કુમકુમનું 28 જુલાઈએ નિધન થયું. બોલિવુડની આ અભિનેત્રી 86 વર્ષની હતી. તેણે મધર ઈન્ડિયા, કોહિનૂર, એક સપેરા એક લૂટેરા અને નયા દૌર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

સમીર શર્મા:

ટીવી અભિનેત્રી સમીર શર્માએ ઓગસ્ટ મહિનામાં આત્મહત્યા કરી લીધી. સમીર શર્મા ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સીરિયલમાં કામ કર્યું હતું. તે 44 વર્ષના હતા. સમીરે મલાડ પશ્વિમ સ્થિત નેહા CHS બિલ્ડિંગમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી.

એસ.પી.બાલાસુબ્રમણ્યમ:

દીદી તેરા દેવર દીવાના જેવા ગીતથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હિટ થયેલા લેજન્ડરી સિંગર એસપી બાલાસુબ્રમણ્યમનું 25 સપ્ટેમ્બરે નિધન થયું. તેમની ઉંમર 74 વર્ષની હતી. એસપી બાલાસુબ્રમણ્યમની જવાથી આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાલીપો છવાઈ ગયો. તેમણે પહલા-પહલા પ્યાર હૈ, મેરે રંગ મેં રંગને વાલી,  ધિકતાના-ધિકતાના, મેરે જીવન

સાથી, મુજસે જુદા હોકર, આજા શામ હોને આઈ, હમ બને તુમ બને, વાહ વાહ રામજી જેવા ગીતમાં પોતાનો અવાજ આપ્યો.

સીન કોનેરી:

દિગ્ગજ હોલિવુડ અભિનેતા સીન કોનેરીનું 31 ઓક્ટોબરે નિધન થયું. તે 90 વર્ષના હતા. સીન કોનેરીએ સ્ક્રીન પર પહેલીવાર જેમ્સ બોન્ડનો રોલ કર્યો હતો. તે 7 ફિલ્મોમાં બોન્ડની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

ફરાઝ ખાન:

બોલિવુડ અભિનેતા ફરાઝ ખાનનું 4 નવેમ્બરે અવસાન થયું. તેમણે બેંગલુરુની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતા. પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા હતા.

દિવ્યા ભટનાગર:

ટીવી અભિનેત્રી દિવ્યા ભટનાગરનું 7 ડિસેમ્બરે નિધન થયું. દિવ્યા કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી. જેના પછી તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે દિવ્યા તેમાંથી બહાર ન આવી શકી અને 7 ડિસેમ્બરે કોરોનાના કારણે તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

વીજે ચિત્રા:

જાણીતી દક્ષિણ ભારતની અભિનેત્રી અને વીજે ચિત્રા 9 ડિસેમ્બરે એક હોટલ રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી.જણાવાઈ રહ્યું છે કે વીજે ચિત્રાએ મોડી રાત્રે શૂટિંગ કર્યું હતું. શૂટિંગ પછી તેણે હોટલ રૂમમાં પણ ચેક ઈન કર્યું હતું. પરંતુ પછીથી હોટલના રિસેપ્શનિસ્ટને વીજે ચિત્રાના મૃત હોવાની જાણકારી મળી હતી.

(4:52 pm IST)