Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

અમદાવાદમાં ૮ થી ૧પ જાન્‍યુઆરી દરમિયાન ફલાવર શો યોજાશેઃ કોરોનાના કારણે એક પછી એક ૪૦૦ લોકોને પ્રવેશ અપાશે : ઓનલાઇન ટીકીટનું બુકિંગ કરાવી શકાશે

અમદાવાદ દરરોજ રાજયના પ૦ ટકા કોરોના કેસ આવતા હોવા છતા તંત્રએ રંગેરંગે ફલાવર શોનું આયોજન કર્યુ

અમદાવાદ : અમદાવાદ માં કોરોના વિસ્ફોટ છતા તંત્ર દ્વારા ફ્લાવર શોના આયોજનનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC એ મોટો નિર્ણય લીધો કે, 8 થી 15 જાન્યુઆરી દરમિયાન ફલાવર શો યોજાશે. રિક્રિએશન કમિટીમાં તાકીદના કામ તરીકે નિર્ણય લેવાયો છે. કોરોના વિસ્ફોટને ધ્યાનમાં રાખીને એક સમયે 400 લોકોને ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં આવશે. 

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. તેમાં પણ અમદાવાદ ત્રીજી લહેરમાં પણ સૌથી વધુ કેસ સાથે અગ્રેસર છે. એકલા અમદાવાદમાં જ રાજ્યના 50 ટકા કોરોના કેસ આવે છે. છતા તંત્રએ રંગેચંગે ફ્લાવર શોનું આયોજન કર્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફલાવર પાર્કમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી રાતના 8 સુધી ફલાવર શો ખુલ્લો રહેશે. જેમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને એક સમયે 400 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. 

પ્રવેશ માટે ફક્ત ઓનલાઈન ટીકીટ જ ખરીદી શકાશે

સોમથી શુક્ર 12 વર્ષ સુધીના બાળકો અને 65 વર્ષથી ઉપરના માટે 30 રૂપિયા ટિકિટ

પુખ્ત વયના માટે સોમથી શુક્ર ટિકિટનો ભાવ 50 રૂપિયા

શનિ-રવિ દરમિયાન બાળકો અને સિનિયર સિટીઝન માટે 50 રૂપિયા ટિકિટ, જ્યારે કે વયસ્કો માટે રૂ.100 ટિકિટ

ફ્લાવર શો જવા માટે પ્લાન કરવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો કે, ટિકિટ ઓનલાઈન મળશે. સ્થળ પર ઓફલાઈન ટિકિટ નહિ મળે. ટિકિટ બુકિંગ માટે વેબસાઇટ www.sabarmatiriverfront.com અથવા www.riverfrontparktickets.com સંપર્ક કરવો. અથવા પાર્કની બહાર પાર્કિંગની જગ્યા પર અથવા ગાર્ડન એન્ટ્રી પોઈન્ટ પર ઉપલબ્ધ QR કોડને સ્કેન કરી શકે છે.

હાલ ફલાવર શોને લઇને તૈયારીઓ ચાલી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 65 હજાર ચોમી વિસ્તાર ફલાવર શો યોજાશે. આ વખતે ફલાવર શોની મુખ્ય થીમનો વિષય ‘વેક્સીન’ રહેશે. તે માટે થીમ બેઝ વેક્સીન (vaccine) ની ફૂલની પ્રતિકૃતિ ઉભી કરાશે. આ ઉપરાંત સ્પોર્ટસ અને આરોગ્યના વિષય પણ મુખ્ય થીમ તરીકે રહેશે. ઓલમ્પિક (olympic 2021) માં ભારતે જે રમતોમાં મેડલ મેળવ્યા છે, તે રમતના સ્કલ્પચર પણ ઉભા કરી મેડલ વિજેતાઓને સન્માન અપાશે તેવું એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, ફલાવર શો માં 65 મુખ્ય પ્રજાતિ અને 750 પેટા પ્રજાતિના સાત લાખની વધુ ફુલ, છોડ અને રોપા હશે. તેમજ 100 થી વધુ મેડિસીનલ (આર્યુવેદિક) રોપા પ્રદર્શિત કરાશે. જેમા મુખ્યત્વે શિયાળાની ઋતુમાં વધુ ફુલ આપતા પિડુનિયા, ડાયન્થસ, પેન્ઝી, સાંવલિયા સહિત અનેક પ્રકારના રંગબેરંગી સીઝનલ ફુલ ઉપરાંત જુદી જુદી જૂદા થીમ બેઝ પ્રાણીઓના સ્કલ્પચર અને સેલ્ફી ઝોન ઉભા કરાશે.

(5:59 pm IST)