Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પૂરી પાડીને ગુજરાતને આ ક્ષેત્રમાં પણ નંબર-૧ બનાવવા રાજ્ય સરકારનો સંકલ્પ:શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ 'નિપુણ ભારત' મિશન અંતર્ગત રાજ્યના શિક્ષકોને તાલીમબદ્ધ કરવા 'નિષ્ઠા ૩.૦' તાલીમ શિબિરનો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

અમદાવાદ :  સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ 'નિપુણ ભારત (National initiative for proficiency in reading with understanding and numeracy)' મિશન અંતર્ગત આજે બાયસેગ સ્ટુડિયો ખાતેથી રાજ્યભરના શિક્ષકોને તાલીમબદ્ધ કરવા નિષ્ઠા ૩.૦ (National initiative for school heads and teachers holistic advancement) તાલીમ શિબિરનો પ્રારંભ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓમાં પાયાની કેળવણીના કાર્ય સાથે સંકળાયેલા ધોરણ ૧ થી ૫ ના શિક્ષકોની આ તાલીમ શિબિરનો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે,પ્રાથમિક શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકી બાળકોમાં પ્રારંભથી જ ભાષા અને સંખ્યાના જ્ઞાનનું વર્ધન થાય તે વિઝન સાથે દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ આ રાષ્ટ્રીય મિશન શરૂ કર્યું છે. બાળકોની 'રીડ ટુ લર્ન' પ્રોસેસ માટે શરૂઆતમાં 'લર્ન ટુ રીડ' પ્રોસેસ શીખવી અત્યંત આવશ્યક છે અને તે માટે જ આ મિશન 'લર્ન ટુ રીડ' થી 'રીડ ટુ લર્ન' માટે બાળકોના શિક્ષણની વિકાસયાત્રા છે જેના થકી ભારતીય વિષયો સમજવામાં બાળકોને વિશેષ સરળતા રહેશે.
 વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, વિકાસની યાત્રા ખરેખરમાં શિક્ષણના વિકાસથી શરૂ થતી હોય છે અને તેમાં પણ બાળકોની આંગળી પકડીને દેશ-દુનિયામાં તેમને પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરતા પ્રાથમિક શિક્ષકો સમગ્ર વિકાસ યાત્રાનું મૂળ છે. આ મિશન થકી પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પૂરી પાડીને ગુજરાતને આ ક્ષેત્રમાં પણ નંબર-૧ બનાવવા રાજ્ય સરકારનો સંકલ્પ છે. વ્યક્તિ નિર્માણ થકી દેશના નિર્માણનું કાર્ય શિક્ષકોના ભાગે આવ્યું છે જેને શિક્ષકો સુપેરે નિભાવી રહ્યા છે જેનો મને ગર્વ છે.
'નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦'માં કરવામાં આવેલા ફેરફારો અને ભલામણોને આવરી લઈને નિષ્ઠા ૩.૦ ના સમગ્ર અભ્યાસક્રમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત દીક્ષા પ્લેટફોર્મ થકી વિવિધ વિષયોના ૧૨ મોડ્યુલની શિક્ષકોને ઓનલાઇન તાલીમ આપવામાં આવશે. ૧.૧૬ લાખ જેટલા શિક્ષકો આ તાલીમ શિબિરમાં ભાગ લેશે.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના સચિવ ડૉ.વિનોદ રાવ, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રતન કુંવર અને જી.સી.આર.ટી નિયામક ડૉ. ટી.એસ.જોષી સહિતના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત બાયસેગના માધ્યમથી રાજ્યના શિક્ષકો ઑનલાઇન જોડાયા હતા.

(7:22 pm IST)