Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

અમદાવાદીઓ ઝડપથી વેક્સીનનો બીજો ડોઝ લે તે માટે એક લકી ડ્રો રાખવામાં આવ્યોઃ 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી જે કોઈ નાગરિકોઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હશે તેવા તમામ નાગરિકો આ લકી ડ્રોમાં ભાગ લઈ શકશે. જેમાં પસંદગી પામનાર એક વ્યક્તિ 60 હજારની કિંમતનો આઈફોન જીતી શકશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝના રસીકરણને વેગ મળે તે માટે હવે આઈફોન જીતાડવાની યોજના બનાવવામાં આવી

અમદાવાદ: કોરોનાની બીજી લહેર બાદ સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે તબક્કાવાર વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓમિક્રોન વેરિયન્ટએ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ લોકો કોરોના ની રસી લે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે પ્રથમ ડોઝતો મોટે ભાગે તમામ લોકોએ લઈ લીધો છે, પરંતુ કેટલાક લોકોએ બીજો ડોઝ લેવામાં આળસ કરી છે, જે ચિંતાનો વિષય જરૂરથી છે, ત્યારે AMC દ્વારા બીજો ડોઝ લેનાર માટે રસપ્રદ ઓફર આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝના રસીકરણને વેગ મળે તે માટે હવે આઈફોન જીતાડવાની યોજના બનાવવામાં આવી છે.

AMC ની ઓફર

અમદાવાદીઓ ઝડપથી વેક્સીનનો બીજો ડોઝ લે તે માટે એક લકી ડ્રો રાખવામાં આવ્યો છે. જેમાં 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી જે કોઈ નાગરિકોઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હશે તેવા તમામ નાગરિકો આ લકી ડ્રોમાં ભાગ લઈ શકશે. જેમાં પસંદગી પામનાર એક વ્યક્તિ 60 હજારની કિંમતનો આઈફોન જીતી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 8 કરોડ 60 લાખથી ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 4.58 કરોડને પહેલો ડોઝ, જ્યારે 3.48 કરોડને બન્ને ડોઝ મળી ગયા છે. રાજ્યની 18 વર્ષ ઉપરની વસતી 4.93 કરોડ મુજબ, 93 ટકાને પહેલો ડોઝ અને 70 ટકાને બન્ને ડોઝ મળી ગયા છે. ગત 21મી ઓક્ટોબરે દેશમાં 100 કરોડ રસીકરણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 90 ટકા લોકોને પહેલો ડોઝ અને 47 ટકા લોકોને બંને ડોઝ મળ્યો છે. 21મી ઓક્ટોબરના આંકડા પ્રમાણે, 4.42 કરોડને પહેલો ડોઝ જ્યારે 2.35 કરોડને બીજો ડોઝ પણ અપાયો છે. એ વખતે કુલ રસીકરણનો આંક 6.76 કરોડ હતો જે વધીને હાલમાં 7.79 કરોડ થયો છે.

દેશમાં હાલ કોરોનાના કેસ ઘટતા રાહત મળી છે. પરંતુ ફરી કેસ વધી શકે છે. જો બેદરકારી રાખવામાં આવશે તો કેસમાં વધારો થઈ શકે છે. મંગળવારે રાજ્યસભામાં સરકારે ચેતવણી આપતા કહ્યું કે, કોરોનાના નવા વેરિયેન્ટ આવતા હોવાથી કેસમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે, સરકાર સતત દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશમા કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચેતવણીની સરકારે નોંધ લીધી છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, કોરોના વાયરસનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી કોરોનાના કેસ વધવાની આશંકાને નકારી શકાય નહીં. મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાથી સામે આવેલા ઓમિક્રોન વેરિયેન્ટે વિશ્વની ચિંતા વધારી છે. જો કે, રાહતની વાત એ છે કે આજ સુધી ભારતમાં આ વેરિયેન્ટનો એકપણ કેસ નથી નોંધાયો.

(6:07 pm IST)