Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

વડોદરાના લાલબાગ બ્રિજ નજીક આવેલ કાશીવિશ્વનાથના મંદિરને નિશાન બનાવી તસ્કરોએ દાનપેટીની ઉઠાંતરી કરી

વડોદરા:શહેરના મંદિરોની દાનપેટી અને ગટરના ઢાંકણા તસ્કરોના ટાર્ગેટ બનાવ્યા છે. શહેરમાં રોજેરોજ આવી ઘટનાઓ સામે આવી રહી છે જેની સામે પોલીસ પણ લાચાર બની હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન આજે વધુ એક મંદિરની દાનપેટીમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલ કાશીવિશ્વનાથ મંદિરની દાનપેટી તોડી અજાણ્યા તસ્કરો 2000 રૂપિયાની ચોરી કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ પટેલ કાશી વિશ્વનાથ મંદિરમાં મેનેજીંગ ટ્રસ્ટી છે. નવાપુરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈ તારીખ 25મી ઓગસ્ટના રોજ કાશી વિશ્વનાથ મંદિરના ક્લાર્ક ભાઈલાલભાઈ જણાવ્યું હતું કે, મંદિરમાં ચોરી થઈ છે તપાસ કરતા મંદિરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તૂટેલો હતો અને બે દાનપેટીના તાળા તૂટેલા હતા. દાનપેટી માં આશરે 2000 રૂપિયા રોકડા હતા. નવાપુરા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા

(6:44 pm IST)