Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરાઈ: આ ટીમો તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે: રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની આવશ્યકતા જણાતી નથી:કોર કમિટીમાં ચર્ચા બાદ જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે:રાજયના મહાનગરોમાં જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમા વધુ સરકારી પથારીઓ રીઝર્વ કરવા મ્યુનિસીપલ કમિશ્નર અને જિલ્લા કલેકટરોને સત્તા અપાઈ:રાજયમાં પૂરતા પ્રમાણમાં રેમડિસીવરના ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ: વધુ ૫૦ હજાર વાયલનો ઓર્ડર આપી દીધો છે: વડોદરા શહેરમાં વિધાનસભા વિસ્તાર દીઠ બબ્બે કેમ્પ શરૂ કરી કોરોનાના ટેસ્ટીગની કામગીરી કરાશે: ચાર અતિથિગૃહ ખાતે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાશે: ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને વેકસીન લેવા અપીલ: માસ્ક સોશ્યલ ડિસ્ટન્સીગ સહિતના તમામ પ્રોટોકોલનો ચુસ્ત અમલ કરવા અનુ રોધ: વડોદરા ખાતે કોરોના સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી

વડોદરા : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજયમાં વધતા કોરોના ના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પણ કોરોનાના પ્રોટોકોલનુ ચુસ્તપણે પાલન કરે અને સંયમ રાખી સહયોગ આપે એ જરૂરી છે.રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે આ માટે રાજય સરકારે નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી દીધી છે.આ ટીમો આવતીકાલથી જ રાજયની તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે

આજે વડોદરા ખાતે કોરોના સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે,રાજયમા હાલ ૨૨૦૦ થી ૨૫૦૦ કેસો આવી રહ્યા છે ત્યારે સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે રોજ યોજાતી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરીને યોગ્ય નિર્ણયો પણ અમે લઈ રહ્યા છીએ
રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની આવશ્યકતા જણાતી નથી જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે.તેમણે ઉમેર્યુ કે, રાજયના મહાનગરોમાં કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમા વધુ સરકારી પથારીઓ રીઝર્વ કરવા માટે મ્યુનિસીપલ કમિશ્નર અને જિલ્લા કલેટર શ્રીઓ ને સત્તા આપી દેવાઈ છે એટલું જ નહી અન્ય રાજયોમાં થી ગુજરાત મા આવતા નાગરિકો નો RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેને જ પ્રવેશ આપવાનો નિર્ણય પણ રાજય સરકારે કર્યો છે જેનો અમલ પણ ૧લી તારીખથી શરૂ કરી દેવાયો છે.કોરોનાની સારવાર માટે અપાતા રેમડિસીવરના ઈન્જેકશનનો જથ્થો પણ રાજયમાં પૂરતા પ્રમાણમાં  ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી  વધુ ૫૦ હજાર વાયલનો ઓર્ડર આપી દીધો છે જે સત્વરે ઉપલબ્ધ થશે.

તેમણે ઉમેર્યુ કે રાજયમા વેકસીનેશનની કામગીરી પણ પૂર જોશમાં ચાલી રહી છે એ માટે વેકસીનનો જથ્થો સમયસર મળી રહ્યો છે આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા સાથે પણ અમે સતત સંકલનમા છીએ ત્યારે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોએ રસી લેવા અનુરોધ પણ કર્યો છે.
  
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના  કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે. રાજ્યમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણ શરૂ થતાં  કેસો વધ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના  દર્દીઓની સારસંભાળ અંગે જિલ્લાના તંત્ર વાહકોને  માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ. વડોદરા શહેરમાં પણ  દર્દીઓનો વધારો થઈ રહ્યો છે રાજ્યમાં  કોરોના દર્દીઓની સારવાર ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.

તેમણે જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે આજે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે જે મુજબ વડોદરા શહેરમાં ધન્વંતરી રથ દ્વારા સમગ્ર શહેરમાં ૨૦૦ ટીમો દ્વારા વિવિધ ઝોન વોર્ડમાં નાગરિકોના  આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.આ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક દીઠ બે  આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે અને નાગરિકોના એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે.

વડોદરા શહેરમાં જે નાગરિકોને કોરોનાના સામાન્ય લક્ષણો અથવા શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તેવા દર્દીઓને શહેરના ચાર અતિથિગૃહમાં કોવીડ કરે સેન્ટર શરૂ કરી વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે. જેના કારણે હોસ્પિટલોમાં તેઓને દાખલ થવું પડે નહીં અને હોસ્પિટલોમાં બિનજરૂરી પથારી ભરાતી અટકશે.

તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે પૂરતી પથારી ઉપલબ્ધ છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલમાં ૫૭૫ તેમજ સયાજી હોસ્પિટલમાં ૬૨૫ બેડ ઉપલબ્ધ છે.

વડોદરા શહેરમાં બે રાજ્ય સરકારની ૧૬  ખાનગી સહિત કુલ ૧૮  લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સરકારી લેબમાં વિનામૂલ્યે જ્યારે  ખાનગી લેબમાં સરકારે નિયત કરેલા દરે  કોરોના ટેસ્ટ કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું

વડોદરા શહેર જિલ્લામાં રસીકરણની કામગીરી પણ ખુબ જ વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે વડોદરા જિલ્લો સમગ્ર રાજ્યમાં રસીકરણમાં બીજા ક્રમે છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે વધુ એક લાખ ડોઝ વડોદરા જિલ્લાને  ફાળવવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં  વડોદરા શહેર- જિલ્લામાં આઠ લાખ  જેટલા  કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. શહેરના ૩૪ જેટલા હેલ્થ સેન્ટરોમાં રસીકરણની કામગીરી વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે અને રસીકરણ ઝુંબેશને વધુ વ્યાપક બનાવવા શહેરમાં વધુ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે નાગરિકોને રસીકરણ કરાવવા અપીલ કરી હતી એટલું જ નહીં રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ ૪ થી ૬ અઠવાડિયામાં બીજો ડોઝ  અવશ્ય લેવા પણ જણાવ્યું હતું.
તેમણા જણાવ્યું કે કોરોના  સંક્રમણ અટકાવવા માટે નાગરિકોએ ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્તનિંગ જાળવવુ જરૂરી છે.જો આપણે નિયમોનું પાલન કરીશું તો કોરોના સંક્રમણને અટકાવવામાં ચોક્કસ સફળ થઈશું.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે નાગરિકો નિયમોનું પાલન કરે તો આપને ચોક્કસ કોરોના  સંક્રમણને અટકાવી શકીશું.
આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી,નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ,સાંસદ,ધારાસભ્યો, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ,ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ, આરોગ્ય સચિવ શિવહરે, મ્યુનિ. કમિશનર પી.સ્વરૂપ, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા.

(7:42 pm IST)