Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પાટણ જીલ્લાના હારીજ તાલુકાની કુરેજા-ભલાણાને જાડતી કેનાલમાં પાટણની બે બહેનપણીઓએ ઝંપલાવ્યુઃ કારણ અંગે તપાસનો ધમધમાટ

પાટણ: પાટણ જિલ્લાની કેનાલોમાં મોતની છલાંગનો સિલસિલો યથાવત છે. હારીજ તાલુકા કુરેજાથી ભલાણાને જોડતી કેનાલમાં વધુ બે યુવતીઓએ મોતની છલાંગ લગાવી છે. બે બહેનપણીઓએ કેનાલમા મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. જેમાં એક યુવતી શંખેશ્વર તાલુકાના સીપર ગામની છે, તો બીજી યુવતી સમી તાલુકાના મુબારકપુરા ગામની છે. આખરે આ હત્યા છે કે આતમહત્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

માર્કેટમાં ખરીદી કરવા ગયેલી બહેનપણીઓ પરત ન આવી

પ્રાપ્ત માહિતી અનસુાર, પાટણમાં બે યુવતીઓના મૃતદેહ ભલાણા કેનાલમાંથી મળી આવ્યા છે. શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવ (નાડોદા પટેલ )ની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવ (રહે-સિપર ઉ.વ.21)ની અને મુબારકપુરા ગામે રહેતી તેની બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ (ઉ.વ.23)એ મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા નીકળી હતી. પરંતુ બંને બહેનપણીઓ મોડે રાત સુધી ઘરે પરત ફરી ન હતી. આખરે પરિવારજનો ચિંતિત બન્યા હતા. બંને યુવતીઓ સાંજ સુધી પરત ન આવતા પરિવારે તપાસ હાથ ધરી હતી. જેથી તેઓએ શોધખોળ હાથ ધરી હતી.

આત્મહત્યા કે હત્યા

આખરે બંને યુવતીઓના મૃતદેહ બુધવારે સવારે હારીજ તાલુકા કુરેજાથી ભલાણાને જોડતી કેનાલમાંથી મળી આવી હતી. આ જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરંતુ બંને બહેનપણીઓએ કેમ મોતની છલાંગ લગાવી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ આત્મહત્યા છે કે હત્યા તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

(4:38 pm IST)