Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કોરોનાના કેસ ઘટ્યા પણ ૨૯૮ દર્દી ક્રિટિકલ બેડ પર

હોમ આઈસોલેશનની વિગતો જાહેર કરાતી નથી : અમદાવાદમાં રોજ ૨૦૦થી ૨૨૫ કેસ નોંધાય છે પણ હોમ આઈસોલેશન અંગે કોઈ સ્પષ્ટતા કરાતી નથી

અમદાવાદ,તા. : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરની અસર ઘટતી જોવા મળી રહી છે. પરંતુ શહેરમાં બે દિવસમાં નવા ૨૯૮ જેટલા કોરોના પેશન્ટને ક્રિટિકલ બેડ ઉપર દાખલ કરવામાં આવ્યા છે, તે ચિંતાજનક બાબત ગણાવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પહેલી જૂને એસવીપી, એલજી, ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, સિવિલ સંકુલ તથા એસિક હોસ્પિટલના ૬૧૩૫ ક્રિટિકલ બેડ ખાલી હોવાનું જાણવામાં આવ્યું હતું.

જ્યારે બીજી જૂને આંકડો ઘટીને ૫૭૭૭ દર્શાવાયો છે. તેમ છતાંય સિવિલ સંકુલમાંની હોસ્પિટલોમાં પહેલી તારીખે ૧૫૯૩ બેડ ખાલી દર્શાવાયા હતા, જે બીજી જૂને ૧૩૮૫ બેડ ખાલી હોવાનું દર્શાવાયું છે. તે જોતા ૧૫૪ બેડ ઉપર નવા પેશન્ટને દાખલ કરવામાં આવ્યા છે. તેવી રીતે ખાનગી હોસ્પિટલોમાં પહેલી તારીખે ૩૨૯૬ બેડ ખાલી દર્શાવાયા હતા, જે બીજી તારીખે ૩૧૨૫ બેડ ખાલી બતાવાયા હતા.

તે જોતા ૧૪૪ બેડ ઉપર નવા દર્દી દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ કોરોનાના દરરોજ ૨૦૦થી ૨૨૫ જેટલા કેસ નોંધાય છે, તેમાંથી કેટલા પેશન્ટને ક્યા દાખલ કરાયા કે કેમ હોમ આઈસોલેશનમાં રખાયા તેની કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવતી નથી.

 જેથી કરીને લોકોમાં હવે કોરોના ઘટી ગયો છે તેવું માની રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે, કોરોનાના થતાં મરણનો આંકડો અમુક દિવસો સુધી ચોક્કસ આંકડા સુધી સીમિત રાખવામાં આવે છે અને પછી ફરીથી તેમાં ઘટાડો કરીને દર્શાવવામાં આવે છે, તે શંકા ઉપજાવે છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શહેર અને જિલ્લામાં ફરીવાર ૨૫૦થી ઓછા કેસ નોંધાયા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે બુધવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૨ નવા કેસ નોંધાયા છે. તેમજ દર્દીના મોત થયા છે અને ૮૫૮ દર્દી સાજા થયા છે. જેથી કોરોનાના એક્ટિવ કેસો ઘટીને હવે ૪૪૦૦ની આસપાસ આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

(9:35 pm IST)