Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કેનાલમાંથી હત્યા કરેલી લાશનો ભેદ ઉકેલતી પોલીસ, પાંચ જબ્બે

એક વર્ષ પહેલા થયેલી બબાલમાં યુવકની હત્યા કરી : આરોપીઓએ યુવકની લાશ કેનાલમાં ફેંક્યા બાદ મેલડી માતાના દર્શન કર્યા હતા, ટેટૂ આધારે મૃતકની ઓળખ થઈ

અમદાવાદ, તા. ૩ : શહેરમાં મિત્રોએ જ એકાદ વર્ષ પહેલા થયેલી બબાલનો બદલો યુવકની હત્યા કરીને લીધો. અસલાલીમાં આવેલી એક કેનાલમાં ઉતરીને યુવકનું ગળુ કાપી હત્યારાઓએ મેલડી માતાના દર્શન કર્યા હતા. જુની બબાલ યાદ આવતા પાડોશીએ યુવકની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે. મૃતક કોણ હતો તેનો ભેદ પણ પોલીસે ટેટુના આધારે ઉકેલ્યો છે.

અસલાલી ખાતે આવેલી એક ખારીકટ કેનાલમાંથી તાજેતરમાં જ લોહીથી લથપથ હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. મધરાત્રીએ હત્યારાઓ ખારીકટ કેનાલમાં ઉતરીને યુવકને છરીના ૧૫ થી વધુ ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં મેલડી માતાના મંદિરે દર્શન કરીને ઘરે જતા રહ્યા હતા. અજાણ્યા યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા યુવક કોણ છે તે શોધવા માટે પોલીસ  રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જાણ કરી લીધી હતી. પરંતુ તેની ઓળખ થઇ શકી નહી.

જો કે, તેના હાથમાં કે. કમેલેશ નામનુ ટેટુ હતું. જેથી પોલીસે આ ટેટુનો ફોટો વોટ્સએપ ગ્રુપમાં ફરતો કર્યોને ગણતરીના દિવસોમાં જ સાવીત્રી નામની મહિલા પોલીસ પાસે પહોચી ગઇ હતી અને ટેટુ તેના ભાઇનું હોવાનું કહ્યુ હતું. પોલીસ સાવીત્રીને ડેડબોડી રુમમાં લાશ બતાવી હતી. યુવકને જોતાની સાથે સાવિત્રી તેને ઓળખી ગઇ હતી. મરનાર યુવકનું નામ કમલેશ ઇશ્વરભાઇ પંચાલ હતું અને તે વટવા કેડીલાબ્રીજ પાસે આવેલી જગદીશ સોસાયટીમાં રહેતો હતો. તેની બહેને પોલીસ સમક્ષ જણાવ્યુ હતું કે, કમલેશને પડોશમાં રહેતા અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે દારૂ પીવા બાબતે બબાલ થઇ હતી.

પોલીસે તે દીશામાં તપાસ કરી તો કમલેશની લાશ જે દિવસથી મળી છે તે દિવસથી અલ્પેશ પણ પોતાના ઘરે નહી ગયો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસની શંકા પાકી થઇ જતા તેમને તરત જ અલ્પેશનો મોબાઇલ ટ્રેસમાં મુક્યો હતો અને અલ્પેશ અને તેના પાંચ મિત્રોને પકડી લીધા હતા. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે જુની બાબલ યાદ આવતા અલ્પેશ અને તેના મિત્રોએ ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં રિક્ષામાં જતા હતા. ત્યારે કમલેશ તેને રસ્તામાં દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો.

કમલેશને પણ રિક્ષામાં બેસાડીને તમામ લોકો અસલાલી તરફ ગયા હતા. જ્યા તેઓ મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જવાના હતા. કમલેશને બાથરુમ જવાનું હોવાથી રીક્ષા ખારીકટ કેનાલ પાસે ઉભી રાખી હતી. જ્યા અલ્પેશને જુની બબાલ યાદ આવી જતા કમલેશ પર છરીના ઘા મારી દીધા. કમલેશે ખારીકટ કેનાલમાં કુદકો મારી દીધો હતો જેથી બે લોકો કેનાલમાં ઉતર્યા હતા અને ઉપરાછાપરી છરીના ૧૫થી વધુ ઘા ઝીંકી દીધા હતા. આરોપી અલ્પેશ સહિતના આરોપીઓએ કમલેશને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શેરા નામના રીક્ષા ચાલકે કેનાલમાં ઉતરેલા જગદીશ સહિતના આરોપીઓને હાથ પકડીને બહાર કાઢ્યા હતા અને બાદમાં મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરી દીધા બાદ તમામ આરોપીઓ લાશને જોવા માટે ફરીથી કેનાલ પર આવ્યા હતા અને ત્યારબાદ તેમના ઘરે જઇને સુઇ ગયા હતા. જોકે આરોપીઓની આ લુપાછુપી વધુ ટકી નહિ અને આખરે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી જ નાખ્યો.

(9:11 pm IST)