Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

અમદાવાદના નિકોલમાં વિરલ જવેલર્સમાં લૂંટ : ચાર શખ્સો દુકાનમાં ધુસીને પિસ્તોલ દેખાડી માલ અને રોકડ લૂંટી ફરાર

આસપાસનાં લોકો કે દુકાન માલિક પીછો ન કરે તે માટે ફિલ્મી સ્ટાઇલે હવામાં ફાયરિંગ કર્યું

અમદાવાદ : ઠક્કરનગરમાં પાન મસાલાના હોલસેલના વેપારી પર ફાયરિંગની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં નિકોલ વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા નિકોલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
અમદાવાદમાં હથિયાર બતાવીને સતત બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ દુકાનમાં ગ્રાહક નહોતા ત્યારે સ્કુટર પર આવેલા ચાર શખ્સો દ્વારા દુકાનમાં ઘુંસી જઇને લૂંટ ચલાવવામાં આવી હતી. તેમની પાસે રહેલી પિસ્ટલ દેખાડીને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. ચારેય વ્યક્તિઓએ આખી દુકાનમાં રહેલા માલ અને રોકડ લૂંટી લીધા બાદ બાઇક પર સવાર થઇને ભાગ્યા હતા. જો કે આસપાસનાં લોકો કે દુકાન માલિક પીછો ન કરે તે માટે ફિલ્મી સ્ટાઇલે હવામાં ફાયરિંગ કર્યું હતું.પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે

. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે જ (2 જાન્યુઆરી) ઠક્કર નગર વિસ્તારમાં પાન મસાલાના હોલસેલના વેપારી પર પૈસાની લેતીદેતી મુદ્દે ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. ભર બજારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. કૃષ્ણનગર પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને તપાસ આદરી હતી. ત્યાં આજે ફરી એકવાર લૂંટની ઘટનાથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.

(11:29 pm IST)