Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

હવેથી સરકારી વાહનો 10 વર્ષ જુના અને 2.5 લાખ કી,મી, ચાલ્યા હશે તો રદબાતલ ગણાશે

સરકારે રાજ્યના વાહનો રદબાતલ કરવાના ધોરણોમાં કર્યા ફેરફાર :ટાયરોની આયુષ્ય મર્યાદા વધારવા નિર્ણય

અમદાવાદ : ગુજરાત સરકારે રાજ્યનાં વાહનોને રદ કરવાના ધારા ધોરણોમાં ફેરફાર કરી દીધા. હવેથી સરકારી વાહનો 10 વર્ષ જુના અને 2.5 લાખ કિમી ચાલ્યા હશે તો રદબાતલ ગણાશે. આ અંગે રાજયના બંદરો અને વાહનવ્યવહાર વિભાગે નિયમોમાં ફેરફાર કરવા તેમ જ ટાયરોની આયુષ્યમર્યાદા વધારવા નિર્ણય કર્યો છે.હાલમાં અદ્યતન એન્જીન ટેકનોલોજીવાળા વાહનો બજારમાં ઉપલબ્ધ છે. સાથે રાજયમાં રસ્તાઓની સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. આ બાબતોને ધ્યાનમાં લઇને સરકારે આ નિર્ણય લીધો.છે

નિર્ણય પ્રમાણે હવે સરકારી વાહનોની 2 લાખ કિ.મી.ના બદલે 2.50 લાખ કિ.મી. ચાલી હોય તેમ જ ખરીદીના 10 વર્ષ પૂર્ણ કર્યા હશે તેવા વાહનને જ કચેરીના વડા રદબાતલ કરી શકશે. ઉપરાંત ટાયરોનું આયુષ્ય 32 હજાર કિલોમીટરના સ્થાને 40 હજાર કરવામાં આવ્યું.

સરકારી વાહનોની લઘુત્તમ આયુષ્યમર્યાદામાં ફેરફાર કરવા તેમ જ તેને રદબાતલ કરવા અંગેના ધોરણોમાં ફેરફાર કરવા બાબતે તથા ટાયરોની આયુષ્યમર્યાદાના માપદંડોમાં ઉચિત વધારો કરવા અંગે 13-4-2018ના રોજ રાજયના વાહનવ્યવહાર કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.

સમિતિએ 23-8-2019ના રોજ સૂચનો અને ભલામણ સાથેનો અહેવાલ સરકારમાં રજૂ કર્યો હતો. તે ભલામણો અંગે સરકારે વિચારણાં હાથ ધરી હતી. વિચારણાંના અંતે રાજયના વાહનવ્યવહાર વિભાગે આજે નિર્ણય જાહેર કર્યો.

આ સિવાયના વાહન  રદબાતલ કરવા માટે અર્થાત 2.50 લાખ કિ.મી. અને ખરીદીના 10 વર્ષ પુરા કર્યા ન હોય તેવા વાહનોને રદબાતલ કરવાની જરૂરિયાત ઊભી થાય તો નર્મદા જળ સંપત્તિ વિભાગ અથવા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના યાંત્રિક વિભાગના અધિક્ષક ઇજનેર ( મીકેનીક ડીવીઝનલ સુપ્રિટેન્ડીંગ એન્જીનીયર )નો અભિપ્રાય મેળવીને સંબંધિત વહીવટી વિભાગના વડા વાહન રદબાતલ કરવાની મંજુરી આપી શકશે.

કોઇપણ વાહન રદબાતલ જાહેર કર્યા બાદ તેનો વધુમાં વધુ 90 દિવસમાં નિકાલ કરવાનો રહેશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

(12:47 am IST)