Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

શિક્ષક ભરતભાઇ પટેલે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવીને ૧૦ વિઘામાં ૩૫૦ મણ કેરીનું ઉત્પાદન કર્યું

સુરત જીલ્લાના મહુવા તાલુકાનાં ખેડૂતની સિધ્ધી

રાજકોટ,તા. ૪ :આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે. ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુકિત મેળવવા માટે મોટી સંખ્યામાં જાગૃત થઈ રહ્યાં છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રકૃતિ તરફ પ્રયાણ કરી રહ્યા છે.

વાત છે, મહુવાના સણવલ્લા ગામના રહીશ અને વ્યવસાયે શિક્ષક ભરતભાઈ પટેલની. જેઓએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને ૧૦ વીઘા જમીનમાં ૩૫૦ મણ કેરીનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. પોતાની વાડીમાં રાજાપુરી, કેસર, તોતાપુરી, દાડમ, લંગડો, આમ્રપાલી જેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન લે છે. અને ગુણવત્ત્।ાયુકત કેરીની ખેતીમાં ગૌમૂત્ર આધારિત જવારણનો ઉપયોગ કરીને આવકમાં વૃદ્ઘિ કરી છે. શિક્ષકની ફરજની સાથે આજે તેમની શ્નનંદનવન ગીર ગૌ-શાળાશ્નમાં ૧૮ નાના-મોટા ગૌવંશ થકી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. ઉપરાંત ખેતી પાકોનું મૂલ્યવર્ધન કરીને પણ વધારાની આવક મેળવી રહ્યાં છે. જેમાં તેમના બન્ને યુવાન દીકરાઓ ખભેખભા મિલાવીને મદદરૂપ થઈ રહ્યાં છે.

પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા અને અનુભવો અંગે વાત કરતા ભરતભાઈ કહે છે કે, છ વર્ષ પહેલા ભરૂચ ખાતે ગ્રામ વિકાસ શિબિરમાં જવાનું થયું ત્યાં પ્રાકૃતિક ખેતી કરતાં અનેક ખેડૂતોના અનુભવો સાંભળીને ખેતી કરવાનો દ્રઢનિર્ધાર કરીને એક ગાય પાળી અને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. ગાય આધારિત ખેતી પદ્ઘતિ દ્વારા આંબાના પાકમાં કેરીનું મબલખ ઉત્પાદન કરી શકાય તે અંગે પ્રકાશ પાડતા તેઓ કહે છે કે, મે-જૂનમાં કેરીનો ઉતારો આવ્યા બાદ આંબાના વૃક્ષની ઉંચાઈ પ્રમાણે છાંયડાના એક મીટર અંદરના ઘેરાવામાં ગૌમુત્ર, ગૌબર, છાશ અને ધનજીવામૃત નાખવાથી ચોમાસા દરમિયાન કિટકો થડમાં આવે ત્યારે રોગ નિયંત્રણનું ઉત્ત્।મ કામ કરે છે.

આ રીતે તૈયાર થાય છે જવારણ ગૌમુત્ર અને ખાટી છાશમાંથી બનાવવામાં આવતા જવારણ નામના પ્રાકૃતિક કીટનાશક વિશે વિગતો આપતા ભરતભાઇ કહે છે કે, એક ડ્રમમાં વિવિધ ફળોનો રસ લઈને તેમાં ગૌમુત્ર અને છાશ ભેળવીને આઠ મહિના સુધી રાખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જવારણનો આબામાં જયારે મોર બેેસે ત્યારે છંટકાવ કરવામાં આવે છે. જેથી મધમાખી, પતંગીયા જેવા મિત્ર કિટકો આકર્ષાય છે. જેથી ફલાવરીંગનું કામ સરળ થાય છે. જૈવિક રીતે નિયંત્રણ કેવી રીતે થાય ? તે અંગે દર રવિવારે શિબિર યોજીને માર્ગદર્શન આપું છું. કેરીના વેચાણ અંગે તેઓ કહે છે કે અમારી વાડીએથી જ ગ્રાહકોને કેરીઓનું સીધુ વેચાણ કરીએ છીએ. કોઈ પણ પ્રકારના ઝેરી પેસ્ટીસાઈઝનો ઉપયોગ કર્યા વિના ગાય આધારિત ખેતીથકી જ જમીનમાં પાકો લઉ છું.

ભરતભાઈને એવોર્ડ પણ મળ્યા છે ભરતભાઇએ ઓર્ગેનિક ખેતી અંગે ગુજરાત ઓર્ગેનિક પ્રોડકશન સર્ટિફિકેટ મેળવ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત-નવસારી દ્વારા હલધર ઓર્ગેનિક ફાર્મર એવોર્ડ તેમજ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરાયા છે. હાલ નવસારી કૃષિ યુનિવર્સિટીની નિરંતર શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. આંબાની ખેતીની સાથે ભરતભાઈ ગાય આધારિત ખેતપદ્ઘતિ થકી પોતાની વાડીમાં ભીંડા, શેરડી, જમરૂખ જેવા પાકોનું પણ ઉત્પાદન લઈ રહ્યા છે. આ ઉપરાંત જીવામૃતનું વેચાણ કરીને પણ પૂરક આવક મેળવી રહ્યા છે.

(11:49 am IST)