Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇના કોરોના સેવા યજ્ઞમાં વડતાલ મંદિર સહયોગી બન્યું : મંદિર બંધ હોવા છતાં રસોડુ ચાલુ રાખ્યું

મોટા પ્રમાણમાં ટિફિન સેવા : કોરોના દર્દીઓની પણ નિઃશુલ્ક સારવાર કરી સંસ્થા તરફથી ૧૦,૦૦૦ કિલો ચોખા અર્પણ કરાયા

અમદાવાદ તા. ૪ : આજના કપરાકાળમાં રાજય અને કેન્દ્ર સરકાર કોરોના સામેની લડાઈમાં રાત્રીદિવસ પુરુષાર્થ કરી રહી છે; જેમાં ગુજરાત રાજયના રાજયપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીએ હોસ્પિટલોના સફાઈ કર્મીઓ અને એમ્બ્યુલસ ડ્રાયવર વગેરેને ૧ લાખ રાસન કીટ આપવાનો સંકલ્પ કર્યો હતો જેમાં જીલ્લા લેવલથી આરોગ્ય સાખાઓનો સંપર્ક કરીને દરેક લાભાર્થી સુધી કીટો પહોંચાડવાની વ્યવસ્થા રાજભવનથી કરવામાં આવી રહી છે .

રાજભવનમાં રાજયપાલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં 'કોરોના સેવા યજ્ઞ'ની રપ હજાર કીટ વિતરણ કરવામાં આવ્યું . આ પ્રસંગે ૧૨ જેટલી વિવિધ સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઊપસ્થિત રહ્યા હતા.

વડતાલ સંસ્થા સતત કોરોના દર્દીઓની સેવામાં સક્રિય રહી છે . મંદિર બંધ હોવા છતા રસોડું ચાલુ રાખ્યું છે અને મોટા પ્રમાણમાં ટિફિન સેવા કરી છે એટલું જ નહિ કોરોના દર્દીઓની પણ નિઃશુલ્ક સારવાર કરી છે. આમાં સેવાયજ્ઞ ચાલુ જ છે અને જયારે રાજયપાલ તરફથી સફાઈ કર્મીઓ માટે 'કોરોના સેવા યજ્ઞ'ની વાત વિવિધ ધર્મના સંતો મહંતો સાથેના વેબિનારના માધ્યમે જાણી ત્યારે ત્યારે વડતાલ સંસ્થા તરફથી ૧૦,૦૦૦ કીલો ચોખા અર્પણ કરવામાં આવ્યા હતા. તેથી આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું . અને પચાસથી વધુ ટ્રકો જે તે સ્થળે રવાના કરવામાં આવી; અત્યાર સુધીમાં રાજભવનથી પચાસ હજાર રાશન કીટો આપવામાં આવી છે. એમ આ સેવા યજ્ઞના કર્ણધાર અમિતાભ શાહે જણાવ્યું હતું.

(12:56 pm IST)