Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય : રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-ર૦ર૧નો તા. ૧પમી જૂન-ર૦ર૧થી અમલ કરાશે

માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન અને/અથવા લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ/ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.

અમદાવાદ :ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે.

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં હવે આગામી તા.૧પ જૂન-ર૦ર૧થી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-ર૦ર૧ અમલી કરવાનો નિર્ણય કર્યો છે
રાજ્યમાં તા.૧પ જૂન-ર૦ર૧થી અમલમાં આવનારા આ અધિનિયમની મહત્વની જોગવાઇઓ આ પ્રમાણે છે:-
 માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન અને/અથવા લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ/ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.
કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.
આ અંગે સાબિત કરવાનો ભાર (Burden of Proof) આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે.
 ગુનો કરનાર/કરાવનાર/મદદ કરનાર/સલાહ આપનાર તમામ સમાન પ્રકારે દોષિત ગણાશે.
 આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને ૩ વર્ષથી ઓછી નહિ અને ૫ વર્ષ સુધીની કેદ અને રૂ.૦૨ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
પરંતુકમાં, સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઇ ૪ થી ૭ વર્ષ સુધીની કેદ અને રૂ.૩ લાખથી ઓછા નહિ તેમ દંડને પાત્ર થશે.
કોઇ નારાજ થયેલી વ્યક્તિ, તેના માતાપિતા, ભાઇ, બહેન અથવા લોહીની સગાઇથી, લગ્નથી અથવા દત્તક સ્વરૂપે હોય તેવી બીજી કોઇ વ્યક્તિ દ્વારા આવા ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે FIR દાખલ કરાવી શકાશે.  
આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે તેમજ આવી સંસ્થાને ૩ વર્ષથી ઓછી નહીં અને ૧૦ વર્ષ સુધીની કેદ તથા રૂ.૦૫ લાખ સુધીના દંડની સજાને પાત્ર થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાજ્ય સરકાર દ્વારા નાણાકીય મદદ/અનુદાન મળવાપાત્ર થશે નહીં.  
આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ Deputy Superintendent of Police થી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.  અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩ની મહત્વપૂર્ણ જોગવાઇઓમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવેલો હતો
બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૩ વર્ષ સુધીની કેદ અને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ
સગીર, સ્ત્રી, અનુસૂચિતજાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા કરાતાં ધર્મ પરિવર્તન માટે ૪ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ.
ધર્મ પરિવર્તનની ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી મેળવવી. જિલ્લા મેજીસ્ટ્રેટે તપાસ પછી ૧ મહિનાની અંદર પરવાનગી આપવી/ઇન્કાર કરવો.
ધાર્મિક વિધિ કરાવનારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી ન મેળવી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને ધર્મ પરિવર્તન કરનારે ધર્મ પરિવર્તનની વિધિની તારીખથી ૧૦ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટને જાણ ન કરી હોય તેવા કિસ્સામાં એક વર્ષ સુધીની કેદ અથવા ૧ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને.  ગુનાની કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ/સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના શરૂ કરી શકાશે નહી.
આ કાયદા હેઠળના ગુના પોલીસ અધિકાર હેઠળના ગુના ગણાશે તેમજ તેની તપાસ Police Inspector થી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહિ.
આમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં લવજેહાદ જેવી પ્રવૃત્તિઓ-ગતિવિધિઓ અને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્ન કે લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સહિતની બાબતો માટે હવે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-ર૦ર૧નો તા.૧પ મી જૂન-ર૦ર૧થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

(8:15 pm IST)