Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રોટરી કલબે બજાવેલી સમાજ સેવાની મિશાલ અન્યો માટે પ્રેરણારૂપ

રોટરી મીડટાઉન લલીતાલય ડાયાબીટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટરનું વિજયભાઇ રૂપાણીના હસ્તે વર્ચ્ચુઅલ લોકાપણ : કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે રાજયના નાગરીકોને રક્ષણ પુરૂ પાડવા માટે રાજય સરકારનું દુરંદેશી આયોજન : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે રોટરી કલબ રાજકોટ દ્વારા નિર્મિત લલિતાલય રોટરી મિડટાઉન ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટરનું ગાંધીનગર ખાતેથી ઈ-લોકાર્પણ કરાયું હતુ.  મહાનગરપાલિકાના સહકારથી તૈયાર થયેલ  આ ચાર માળનું ૧૮,૦૦૦ સ્કવેર ફિટમાં ફેલાયેલું આ અદ્યતન ડાયાબિટીઝ સેન્ટર લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે.

આ પ્રસંગે ઇ-માધ્યમથી પૂ. શ્રી યદુનાથ મહાદેવ,   મેયરશ્રી પ્રદિપભાઇ ડવ, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, મહાનગર પાલિકાના કમિશનર શ્રી ઉદિત  અગ્રવાલ, રોટરી કલબ રાજકોટના પ્રમુખ શ્રી દિનેશભાઇ જીવરાજાની, મહાનગરપાલિકા અને રોટરી કલબના  પદાધિકારીઓ-દાતાશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા.  (૪૦.૧૬)

રાજકોટ તા.૫: મુખ્યમંત્રી શ્રી   વિજયભાઈ રૂપાણીએ રાજકોટ સ્થિત રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટર વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

 આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીરૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં પાંચમી મેના રોજ ઉજવવામાં આવતા ''વિશ્વ પર્યાવરણ દિન'' નિમિત્તે પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણમુકત ગુજરાતનાં નિર્માણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણતયા સંકલ્પબધ્ધ છે. હાલના કોરોના કાળમાં કોવિડ સેન્ટરોમાં આજના દિવસે કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત નર્સ હેલ્થ વર્કર તથા પાસે વૃક્ષારોપણ કરાવીને રાજ્ય સરકારે આ બાબતની પ્રતિબદ્ધતાનો પુરાવો પૂરો પાડ્યો છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્યના નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દૂરંદેશી આયોજન અને આંતરમાળખાકીય સુવિધા સાથે આગળ વધી રહી હોવાનો ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. અને કોરોનાના ડાયાબિટીસવાળા દર્દીઓમાં જોવા મળતી મ્યુકર માઈકોસીસના ઉપદ્રવને નાથવા માટે રાજકોટ શહેરમાં કરાયેલી જિલ્લા વહીવટીતંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય લક્ષી કામગીરીને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.

રોટરી મિડટાઉન કલબ એ સમર્પિત અને સેવાભાવી લોકોનું સંગઠન છે, તેમ જણાવતાં કહેલ કે તમામ પ્રકારની કુદરતી આપત્તિઓમાં રોટરી કલબે બજાવેલી સમાજસેવાની મિશાલને અન્યો માટે પ્રેરણારૂપ જણાવી આ સંસ્થાને રાજકોટનું ગૌરવ ગણાવ્યું હતું. નિઃસ્વાર્થભાવે રાજયના નાગરિકોની સેવા કરતી રોટરી મીડટાઉન કલબ દ્વારા સંચાલિત અન્ય સેવાઓનો લાભ લેવા તેમણે શહેરના નાગરિકોને અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ જીવરાજાનીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની પ્રવૃત્તિઓનો ટૂંકો ચિતાર રજૂ કર્યો હતો. મેયર ડો. પ્રદીપ ડવે પ્રાસંગિક પ્રવચનમાં  સેન્ટરની સ્થાપના બદલ રોટરી કલબને અભિનંદન આપ્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સમયે અમલમાં મૂકવામાં આવતા આરોગ્યલક્ષી, પર્યાવરણ સંરક્ષણ તથા અન્ય લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોમાં રોટરી મીડટાઉન કલબે આપેલા સહયોગની સરાહના કરી હતી. 

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોનું ઝાડના રોપાથી સ્વાગત કરાયું હતું. લલિતાલય બિલ્ડિંગના આર્કિટેકટશ્રી કિશોર ત્રિવેદી અને ઇન્ટિરિયર ડેકોરેટર શ્રી આનંદભાઈ શાહનું આ પ્રસંગે સન્માન કરાયું હતું. જાણીતા સંત શ્રી યદુનાથજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા રોટરી મિડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર વિગતો રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, સંસદસભ્યશ્રી રામભાઈ મોકરીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, જિલ્લા પંચાયતની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ, કલબના સેક્રેટરી શ્રી તપનભાઇ ચંદારાણા, પ્રોજેકટ ઇન્ચાર્જશ્રી કલ્પરાજ મહેતા, શહેરના જાણીતા ડોકટર્સ,  તથા સંસ્થાના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

(3:52 pm IST)