Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

તહેવારો આવતા કોરોના કાળમાં ખાસ પ્રકારની ગાઇડલાઇન જાહેર કરાશેઃ ધાર્મિક અને જાહેર સ્‍થળોએ ભીડ ઓછી થાય તે પ્રકારની વ્‍યવસ્‍થા કરાશેઃ જરૂર જણાશે તો તહેવારો દરમિયાન કડક ગાઇડલાઇન પણ અમલમાં મુકાશેઃ નીતિનભાઇ પટેલ

ખેડા અને આણંદ જિલ્લાને ડાંગરના પાક માટે પાણી આપવા માટે રાજ્‍ય સરકારની વિચારણાઃ નાયબ મુખ્‍યમંત્રીએ હૈયાધારણા આપી

ગાંધીનગરઃ આગામી 9 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઉજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે, કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી, પણ કોરોનાની દરેક ગાઈડલાનનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે. તહેવારો આવતા કોરોના કાળમાં ખાસ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન અંગે કોર કમિટિમાં નિર્ણય લેવામાં આવશે. કોરોનાની સ્થિતિમાં ધાર્મિક સ્થળો પર અને જાહેર જગ્યાએ ભીડ ઓછી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.

નીતિન પટેલે જણાવ્યુંકે, શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો અંગે સરકાર જે પ્રકારની ગાઈડલાઈન નક્કી કરશે તેને અનુસરીને તહેવારની ઉજવણી કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ન વધે તે અંગે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અને આગળ પણ કોરોનાના સંક્રમણને કારણે સ્થિતિ વણસે નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. છૂટછાટ જરૂર આપવામાં આવી છે, પણ જરૂર જણાશે તો તહેવારો દરમિયાન કડક ગાઈડલાઈન પણ અમલી કરવામાં આવશે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને રાહત આપતી વાત પણ કરી. નીતિન પટેલે જણાવ્યુંકે, ખેડા અને આણંદ જિલ્લાને ડાંગરના પાક માટે પાણી આપવા અંગે વિચારણા કરાઈ રહી છે.સિંચાઈનું પાણી આપવા અંગે સાંજ સુધીમાં નિર્ણય લેવાશે. નિયમો પ્રમાણે પીવાનું પાણી સ્ટોકમાં રાખવું જરૂરી છે. નર્મદા સિવાય બધા ડેમમાં સ્ટોરેજ રાખ્યું છે.

(4:22 pm IST)