Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

અમુલ દુધના પાઉચ પર હર ઘર તિરંગાનો લોગો છપાશેઃ મેનેજીંગ ડિરેક્‍ટર આર.એસ. સોઢી

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ટપાલ ટિકીટોમાં પણ આ લોગો પ્રિન્‍ટ કરી દેશપ્રેમ વ્‍યક્‍ત કરવામાં આવશે

આણંદઃ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત 15મી ઓગસ્‍ટને લઇ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે જેને લઇ અમુલે હર ઘર તિરંગાનો લોગો દુધના પાઉચ પર પ્રિન્‍ટ કરી લોકોને દેશપ્રેમ અને આઝાદીનો સંદેશો આપશે. 4 થી 12 ઓગસ્‍ટ દરમિયાન 8 મહાનગર પાલિકા દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. મુખ્‍યમંત્રીએ ગઇકાલે સુરતથી આ યાત્રાનો શુભારંભ કરાવ્‍યો છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટર આર. એસ. સોઢીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હર ઘર તિરંગા અભિયાનમાં હવે અમુલ પણ જોડાયું છે. જેના ભાગરૂપે અમૂલ દૂધનાં પાઉચ પર હર ઘર તિરંગાનો લોગો છપાશે.

અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટર આર એસ સોઢીએ જણાવ્યું છે કે, દરરોજ ત્રણ કરોડ પરિવારો સુધી અમુલ દૂધનાં માધ્યમથી હર ઘર તિરંગા અભિયાન પહોંચશે. જમ્મુ કાશ્મીર, ગુજરાત, કલકત્તા, દિલ્હી સહીત દેશભરમાં અમુલ હર ઘર તિરંગા અભિયાન પહોંચાડશે. અમુલ દ્વારા 15મી ઓગષ્ટ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટપાલ ટિકિટોમાં પણ આ લોગો પ્રિન્ટ કરી દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકામાં 10મી અને 11મી ઓગસ્ટે દોડનું આયોજન કરાયું છે. 4થી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ દરમિયાન 08 મહાનગર પાલિકાઓમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 4થીને ગુરુવારે સુરતથી આ યાત્રાનો શુભારંભ કરાવ્યો છે.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો છે. 15 ઓગસ્ટ સુધી સર્વે શિક્ષકો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિસ્પ્લે પ્રોફાઈલ(DP) પર રાષ્ટ્રધ્વજને રાખીને #harghartirangaને ટેગ કરવા તેમજ વેબસાઈટ www.harghartiranga.com ઉપર રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ અપીલ કરી છે.

(5:10 pm IST)