Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

અંબાજીમાં હોટલ માલિકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી

પવિત્ર યાત્રાધામની ઘટનાથી ચકચાર : મૃતક હોટલ માલિક વિનય રાવલ સામાજિક કાર્યોમાં ઘણો આગળ પડતો હતો, હત્યાના કારણ અંગે સસ્પેન્સ

અંબાજી, તા. : સોમવાર સાંજના સમયે ગબ્બર નજીકથી અંબાજી મંદિરની સામેના કોમ્પલેક્સમાં આવેલી હોટલના માલિકનો તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં અંબાજી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી પોલીસને ગબ્બર પાસે સોમવારે મોડી સાંજે એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

જેને ળઈને અંબાજી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે લાશનો કબજો મેળવીને ઓળખ હાથ ધરી હતી. જેમાં મૃતક રેસ્ટોરન્ટના માલિક વિનય રાવલ હોવાનું સામે આવ્યું હતું. લાશની ઓળખ થયા બાદ અંબાજી પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંબાજી ખાતે બ્રિજેશ રાવલ અને વિનય રાવલ બંને ભાઈ બીજા ભાગીદારો સાથે રેસ્ટોરન્ટ ચલાવે છે. મૃતક હોટલ માલિક વિનય રાવલ સામાજિક કાર્યોમાં ઘણો આગળ પડતો હતો. જો કે, ક્યા કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

(7:11 pm IST)