Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

અંકલેશ્વરની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ પડતા કોન્ટ્રકટર સહિત 4 લોકોના મોત: 3 લોકોને ઇજા

દુર્ઘટનાથી પોલીસ, પ્રશાસન, એમ્બ્યુલનસો દોડતી થઈ :સાયરનોની ગુંજ અને લોકોની બુમરાણથી ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ગુંજી ઉઠ્યું

અંકલેશ્વર GIDCમાં દુર્ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે. ઘટનાને પગલે પોલીસ, પ્રશાસન, એમ્બ્યુલનસો દોડતી થઈ જવા સાથે સાયરનોની ગુંજ અને લોકોની બુમરાણથી ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ગુંજી ઉઠ્યું હતું.

અંકલેશ્વર GIDC માં આવેલી પ્લાસ્ટોકોન કંપની પ્લાસ્ટિકની ટાંકીઓ, પેલેટ્સ અને મોડુયલરો બનાવે છે.કંપનીમાં સિવિલ વર્કનું કામ ચાલી રહ્યું હતું.

જે માટે કોન્ટ્રાકટના માણસો દ્વારા દીવાલ બનાવવાની કામગીરી થઈ રહી હતી. કોન્ટ્રકટર અને અન્ય કામદારો 6 ફૂટની દીવાલ ઉપર ઇંટો મૂકી ચણતર કરી રહ્યા હતા ત્યારે જ ધડાકાભેર દીવાલ તૂટી પડતા મજૂરો દટાઈ ગયા હતા.કામદારોની ચિચિયારીઓ વચ્ચે કંપની પરિસર ગુંજી ઉઠવા સાથે ત્રણ રસ્તા પર જ આવેલી કંપનીમાં દુર્ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. દીવાલ ધરાશયી થવાની ઘટનામાં કોન્ટ્રકટર તેમજ એક મહિલા સહિત 4 લોકોના સ્થળ ઉપર જ મોત થયા હતા.જ્યારે અન્ય 3 લોકો દિવાલના કાટમાળ નીચે દબાતા પગે, હાથે ફેક્ચર સાથે શરીરે ઇજાઓ પોહચી હતી. રાહત બચાવની કામગીરી હાથ ધરવા સાથે 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને વહીવટી તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું.મૃતદેહો તેમજ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હત.

ત્રણ ઘાયલોને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનામાં કોન્ટ્રકટર કોણ હતો તેની પણ પુષ્ટિ થઈ ચૂકી ન હતી.ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં સંગીતાદેવી સુરેશ મંડલ, ઉ.વ.30, હાલ રહે સારંગપુર, મૂળ બિહાર ગોપાલ જેસિંગ રાજપૂત ઉ.વ.45, હાલ રહે. સારંગપુર, મૂળ બિહાર સંજય રણછોડ વસાવા ઉ.વ. 30 , રહે. આમોદમૌલા તોહસીન અંસારી ઉ.વ. 42નો સમાવેશ થાય છે.બનાવની તપાસ જીઆઇડીસી પોલીસ ચલાવી રહી છે

(1:02 am IST)