Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ખળભળાટ મચાવતી ઘટના

સુરતના ઉગત રોડ નજીકથી મૃત નવજાત બાળક મળ્યું: માતા પાસેના ખુલ્લા મેદાનમાં ગંભીર હાલતમાં મળી

કોણે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો અને કોણ છે બાળકીના મોતનો જવાબદાર તે અંગે વધુ ખુલાસા સારવાર લઈ રહેલી માતા જ કરી શકે

સુરત,તા.૬ : ગુજરાતમાં એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નવજાત બાળકને જન્મતા જ ત્યજી દેવાય છે. કયાંક કચરા પેટીમાં બાળકને મૂકી દેવાય છે તો કયાંક અનાથ આશ્રમની બહાર કે રેલવે સ્ટેશનની બહાર, અરે તો હદ તો ત્યારે થાય છે જયારે નવજાત બાળક બાળકી હોવાને કારણે તેને દુનિયામાં આવી ત્યારથી જ રઝળતી મૂકી દેવાય છે.

સુરતમાં પણ કઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઊગત રોડ નજીકથી મૃત હાલતમાં ત્યજી દીધેલું બાળક મળી આવ્યું છે. રાહદારીઓની નજર બાળક પર પડતાં તેમણે તરત જ જહાંગીરપુરા પોલીસને નવજાત બાળકની કોઈ મૂકીને જતું રહ્યું હોવાની માહિતી આપી હતી. જે બાદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી પણ બાળક મૃત હાલતમાં મળ્યું હતું. જે બાદ બાળકના માતા પિતા અંગેની તપાસ પોલીસ ચાલુ કરી હતી.

મૃત હાલતમાં મળી આવેલ બાળક કોણ મૂકી ગયું તે અંગેની તપાસ કરતાં પોલીસે આસપાસના રાહદારીઓની તેમજ સીસીટીવી કેમરાની મદદ લીધી, જે બાદ પોલીસે વધુ તપાસ કરતાં બાળકની માતા ઘટના સ્થળેથી થોડે દૂર એક ખુલ્લા મેદાનમાં મળી આવી હતી. પણ માતાની હાલત પણ ગંભીર હતી. પોલીસે તાત્કાલિક નવજાત બાળકીની માતાને સિવિલમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે.

નવજાત મૃત હાલતમાં અને માતા ગંભીર હાલતમાં મળી આવતાં પોલીસ પણ દોડતી થઈ છે. કોણે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો અને કોણ છે બાળકીના મોતનો જિમ્મેદાર તે લઈ વધુ ખુલાસા સારવાર લઈ રહેલી માતા જ કરી શકે છે. સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી ઘટનાના મૂળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. 

(4:02 pm IST)