Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધુ અને પિનાકી મેઘાણીના માતા સ્વ.કુસુમબેન નાનકભાઇ મેઘાણીની બીજી પુણ્યતિથીએ શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટ,તા. ૬: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીએ ૮૦ વર્ષની વયે ૦૬ નવેમ્બર ૨૦૧૮ (આસો વદ ૧૪ - કાળી ચૌદશ)ના રોજ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી હતી. સ્વ. કુસુમબેન મેઘાણીની બીજી પુણ્યતિથિ (૦૬ નવેમ્બર)એ શ્રધ્ધાસુમન અર્પણ થશે.  પ્રાધ્યાપક રહી ચૂકેલાં કુસુમબેન પુત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં સતત પથદર્શક રહ્યાં હતાં. ઝવેરચંદ મેઘાણીની અધિકૃત અને માહિતીસભર વેબસાઈટ www.jhaverchandmeghani.comનાં સંશોધન માટે પિનાકીભાઈ સાથે ગુજરાત-રાજસ્થાનનો સઘન પ્રવાસ કર્યો હતો. દરેક કાર્યક્ર્મમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહે. 'મેઘાણીગાથા', 'કસુંબીનો રંગ'પુસ્તકો તેમજ 'ઘાયલ મરતાં મરતાં રે', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી'મ્યૂઝીક સીડીનાં સંકલનમાં પણ સવિશેષ પ્રેરણા આપી હતી. યુવાવસ્થામાં પતિ નાનકભાઈ મેઘાણી સંચાલિત રાજકોટ સ્થિત 'સાહિત્ય મિલાપ'ૅગ્રંથભંડારમાં પણ સક્રીય હતાં.

જે સમયે કન્યા કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે ભાવનગર ખાતે જન્મેલાં કુસુમબેન મેઘાણીએ એમ.એ. - બી.એડ.નો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો. માતા લક્ષ્મીબેન અને પિતા ત્રિભુવનદાસ શાહની પ્રેરણાથી શાળા-કોલેજ દરમિયાન અભ્યાસ ઉપરાંત કલા અને રમતગમત ક્ષેત્રે પણ અનેક સિધ્ધિઓ હાંસલ કરી હતી. ૧૯૫૯માં દિલ્હીનાં તાલકટોરા ગાર્ડન ખાતે યોજાયેલ ઓલ-ઈન્ડિયા યુથ ફેસ્ટીવલમાં ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં પ્રાચીન રાસ-ગરબા-લોકગીતો ગુંજયાં હતાં. ભાવનગરની શામળદાસ કોલેજનાં ૧૨ વિઘાર્થી ભાઈ-બહેનોએ દેશની ૩૭ યુનિવર્સિટીઓમાં લોક-નૃત્યમાં પ્રથમ ક્ર્મ પ્રાપ્ત કર્યો હતો. શામળદાસ કોલેજમાં જુનિયર બી.એ.માં ત્યારે અભ્યાસ કરતાં કુસુમબેન આ વિજેતા ટીમમાં શામેલ હતાં. દેશના પ્રથમ પ્રધાન મંત્રી પંડીત જવાહરલાલ નહેરુએ વિજેતા ટીમનું સન્માન કર્યું હતું. એન.સી.સી.માં બેસ્ટ કેડેટ તરીકે પણ પસંદગી પામેલા. ત્રણ ટર્મ સુધી લોકસભાનાં સાંસદ રહી ચૂકેલાં મોટા બહેન જયાબેન શાહની પ્રેરણાથી બચપણમાં આઝાદીની ચળવળમાં પણ રસ લેતા.

નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત પંડિત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, ઈન્દિરાબેન ગાંધી સહિત દેશનાં પાંચ પ્રધાન મંત્રીને પ્રત્યક્ષ મળવાનો અવસર કુસુમબેનને પ્રાપ્ત થયો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:20 am IST)