Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા કમળાબેન ચાવડાની નિમણુંક બાદ આંતરિક વિવાદઃ પોતાની સાથે થયેલા વર્તન મુદ્દે દિનેશ શર્મા લડતના મુડમાં

અમદાવાદ: અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા તરીકે કમળાબેન ચાવડાની નિમણૂંક કરાઈ છે. પરંતુ કમળાબેનની નિમણૂંક કોંગ્રસમાં આંતરિક વિવાદ લઈને આવી છે. આ સાથે જ કોંગ્રેસમાં અંદરોઅંદર કેવા પ્રકારના આંતરિક ડખા છે તે પણ સાબિત થઈ ગયું છે. AMC ના વિપક્ષી નેતા માટે ચાલી રહેલા વિવાદમાં વિપક્ષી નેતાની નિમણૂંક બાદ આંતરિક વિવાદ ચરમ પર પહોંચી ગયો છે. ત્યારે હવે શહેર કોંગ્રેસનો કકળાટ પાર્ટ-2 શરૂ થશે. પક્ષ દ્વારા પોતાની સાથે થયેલા વર્તન મામલે દિનેશ શર્મા લડતના મૂડમાં આવી ગયા છે.

વિપક્ષી નેતા પદેથી રાજીનામું આપ્યા બાદ વિરોધીઓ સામે પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્મા આક્રમક મોડમાં આવી ગયા છે. આજે તેઓ પોતાના સમર્થકો સાથે શહેરભરમાં શક્તિ પ્રદર્શન કરશે. સવારે 11 વાગે એકસાથે વિવિધ સ્થળે શક્તિ પ્રદર્શન કરશે. દિનેશ શર્માના સમર્થકો-ટેકેદારો મોટાપાયે એકઠા થશે. કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતા આગેવાનો સામે પ્રદર્શન કરશે. દિનેશ શર્મા દ્વારા પૂર્વના બાપુનગર, અસારવા, સરસપુર, રખિયાલ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પ્રદર્શન કરાશે.

વધુ એક વિવાદ

કોગ્રેસ દ્વારા AMC નવા વિપક્ષી નેતા કમળાબેન ચાવડાને જાહેર કરાયા હતા. ત્યારે અમદાવાદની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના બાદ નવા વિપક્ષી નેતા અને કાર્યકારી વિપક્ષી નેતા બંને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એટલુ જ નહિ, કમળાબેન ચાવડા પીપળજ ઘટનાના ઇજાગ્રસ્તોને મળવા એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા, તો AMC કાર્યકારી વિપક્ષી નેતા તૈફિકખાન પઠાણ પણ એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા.

કમળાબેન ચાવડા અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં ઇતિહાસમાં પહેલી વાર દલિત મહિલા વિરોધપક્ષના નેતા બન્યા છે. બહેરામપુરા વોર્ડમાં સતત ચાર ટર્મથી તેઓ ચૂંટાય છે. પ્રામાણિક તેના અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની તેમની છાપ છે.

(5:14 pm IST)