Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

માઈક્રો ટનલિંગ પ્રોજેક્ટમાં ૩ કિમીની કામગીરી પૂર્ણ થઈ

કામગીરી વાડજ સર્કલથી શરૂ કરાઈ હતી : એકવખત આ પ્રોજેક્ટ કાર્યરત થતાં પશ્ચિમમાં ગટર લાઈનને સંબંધિત પ્રશ્નોનો લગભગ ઉકેલ આવી જશે

અમદાવાદ,તા. : અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સીબીડી વિસ્તાર તરીકે જાહેર કરાયેલા આશ્રમરોડ પર વિકાસનો અંદાજ મૂકતા તેમજ આસપાસના વિસ્તારોમાં રિ-ડેવલપમેન્ટ સ્કીમોના અમલીકરણને જોતાં પાણી-ગટર સહિતની પ્રાથમિક સુવિધાને વધુ સારી બનાવવા માટે મ્યુનિસિપાલિટી દ્વારા આશ્રમરોડની નીચે માઈક્રો ટનલિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આશ્રમરોડ પર વાડજ સર્કલથી શરૂ કરાયેલા માઈક્રો ટનલિંગ પ્રોજેક્ટમાં કિમીની કામગીરી પૂર્ણ કરાઈ છે અને ૧૪૦૦ એમએમ ડાયામીટરની પાઈપલાઈન પણ ગોઠવવામાં આવી છે. માઈક્રો ટનલિંગ પ્રોજેક્ટથી આશ્રમરોડની વર્તમાન ગટર લાઈન અથવા રિવરફ્રન્ટની ઈન્ટરસેપ્ટર લાઈનને કોઈ અસર થશે નહીં અને તેમાં આવતા ગટરના પાણીના જથ્થામાં કોઈ વધારો થશે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ, આશ્રમરોડ પર હાથ ધરાયેલા માઈક્રો ટનલિંગ પ્રોજેક્ટને ઓગસ્ટ સુધીમાં પૂરો કરીને કાર્યરત કરવા માટે ઝડપી કામગીરી ચાલી રહી છે.

અમદાવાદના વાડજ સર્કલથી પાલડી મહાલક્ષ્મી પાંચ રસ્તા સુધી માઈક્રો ટનલિંગ પ્રોજેક્ટને આગળ જતાં રિવરફ્રન્ટ થઈ નવા બનનારા એસટીપીની સાથે જોડવામાં આવશે. એકવખત પ્રોજેક્ટ કાર્યરત થતાં પશ્ચિમમાં ગટર લાઈનને સંબંધિત પ્રશ્નોનો લગભગ ઉકેલ આવી જશે. જ્યારે શહેરના નરોડાથી નારોલ સુધીના પૂર્વ પટ્ટામાં ગટરના પાણીની સમસ્યા વિકટ છે અને તેમાં વધતા જતા વિકાસના પગલે આગામી વર્ષોના આયોજનના ભાગરૂપે નારોલ-નરોડા હાઈવે ઉપર પણ માઈક્રો ટનલિંગ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. નવા રિંગરોડ પર પણ મુખ્ય ગટરલાઈન નાખવામાં આવી છે અને રિંગરોડ ફરતા વિસ્તારોના ગટરના પાણી તેમાં ડાયવર્ટ કરવાની કામગીરી પણ ચાલી રહી છે.

(9:02 pm IST)