Gujarati News

Gujarati News

News of Tuesday, 7th March 2023

રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે “જન ઔષધિ દિવસ” ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

રાજપીપલાના વ્રજ કોમ્પલેક્ષ સ્થિત જન ઔષધિ કેન્દ્રનો લાભ લેવા પ્રજાજનોને આહ્વાન કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) સહિત વધુ એક પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જનસામાન્ય માટે આશિર્વાદરૂપ બની છે. રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા નિલાંબરીબેન પરમારની અધ્યક્ષતામાં “આઝાદી કા અમૃત મહોત્સવ”, “G-20” થીમ આધારિત પાંચમા “જન ઔષધિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો હેતુ જનઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારી જેનરીક દવાઓને પ્રોત્સાંહન પુરું પાડવાનો હતો.

જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષા નિલાંબરીબેન પરમારે આ પ્રસંગે જણાવ્યું કે, પરિવારના સભ્યો બિમાર પડે ત્યારે બજારની મોંઘી અને બ્રાન્ડેડ દવા ખરીદવી મજબુરી બની રહે છે. જે વધુ ખર્ચાળ હોય છે. ત્યારે ગુણવતાયુકત અને અસરકારક જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં ૬૦ થી ૭૦ ટકા સસ્તા દરે જન ઔષધિ કેન્દ્રો પુરી પાડીને સામાન્યમ લોકોની સારવારમાં આશિર્વાદરૂપ બની રહી છે.
આ વેળાએ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલભાઈ વસાવાએ જણાવ્યું કે, આજે ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કેન્સર, ક્ષય સહિત અન્ય રોગો માટે દવાઓ ખોરાક જેટલી જ અનિવાર્ય બનતા જેનરિક દવાઓ આઉટ ઓફ પોકેટ ખર્ચ પરનું ભારણ ઘટાડી શકે છે. વધુમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આહ્વાન બાદ ડોક્ટરોને જેનરિક દવાઓના પ્રચાર અને દર્દીઓમાં તેની સમજ ઉભી થાય તે હેતુથી દરેક જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા વસાવાએ અનુરોધ કર્યો હતો.
ઉપરાંત મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોએ જનઔષધિ યોજના અંગે જન-જાગૃતિ વધારવા સહિત જેનરિક દવાઓને પ્રોત્સાહિત કરીને પોતાના પ્રતિભાવો અને જેનરિક દવાઓના ઉપયોગ અંગે હોલમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં સૌ પ્રેક્ષકોને પરિયોજના અંતર્ગત ટૂંકી ફિલ્મ નિદર્શન દ્વારા જાગૃત કરાયા હતા.
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો. હેત્તલભાઈ ચૌધરી, જિલ્લા ટી.બી. અધિકારી ડો. ઝંખનાબેન વસાવા, જિલ્લા આર.સી.એચ. અધિકારી મુકેશભાઈ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારી ડો. આર.એસ. કશ્યપ, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.કે.સુમન સહિત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.

(10:23 pm IST)