Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ખંભાત શહેરના આંબાખાડ રોડ નજીક પત્ની સહીત પ્રેમીના ત્રાસથી કંટાળી પતિએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

આણંદ : ખંભાત શહેરના આંબાખાડ રોડ ઉપર રહેતા એક યુવકે પત્ની અને તેના પ્રેમી તથા સાળાના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસ મથકે પત્ની સહિતના ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાત શહેરના આંબાખાડ રોડ ઉપર આવેલ આઈ.પી.મિશન કમ્પાઉન્ડ ખાતે રહેતા વીલ્સન ઉર્ફે મોન્ટુ રાજેશભાઈ વાઘેલાને આજથી લગભગ ૧૦ વર્ષ પૂર્વે નજીકમાં જ રહેતી દિપ્તીબેન ઉર્ફે જેનીફર બિપીનભાઈ મહિડા સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્નના ૧૦ વર્ષ સુધી તેઓને કોઈ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. દરમ્યાન દિપ્તીબેનને અન્ય એક કૌટુંબિક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે અંગેની જાણ પતિ વિલ્સનભાઈને થતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. બાદમાં એક લેબમાં નોકરી કરી રહેલ દિપ્તીબેનને વિશાલ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે અંગેની જાણ પણ વિલ્સનભાઈને થતા ઝઘડાઓ વધી જવા પામ્યા હતા. દરમ્યાન પત્ની દિપ્તીબેને પ્રેમી વિશાલ અને સાળા જેકીન્સન સાથે મળી પતિ વિલ્સનને માર માર્યો હતો. જે અંગે લાગી આવતા ગત તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સુમારે વિલ્સનભાઈએ પોતાના ઘરે ચાદર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજા દિવસે સવારે નજીકમાં જ રહેતા વ્યક્તિઓને આ અંગે જાણ થતા તેઓએ ખંભાત શહેર પોલીસને જાણ કરી હતી. જેથી ખંભાત શહેર પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરતા પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પત્ની તેના પ્રેમી અને સાળાના ત્રાસથી આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ થયો હોઈ ખંભાત શહેર પોલીસે પત્ની દિપ્તીબેન ઉર્ફે જેનીફર મહિડા (રહે.આઈ.પી.મિશન કમ્પાઉન્ડ, આંબાખાડ રોડ, ખંભાત), વિશાલ અશોકભાઈ ગોહિલ (રહે.મીલની ચાલી, ખંભાત) અને જેકીન્સન બિપીનભાઈ મહિડા (રહે.આઈ.પી. મિશન કમ્પાઉન્ડ, ખંભાત) વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:28 pm IST)