Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ખંભાતમાં 1580ના સમયમાં પક્ષીઓ, બિલાડી, શ્વાનોની સારવાર થતી હવે જુના પશુ દવાખાનાની જગ્‍યાએ 1.19 કરોડના ખર્ચે અદ્યતન સંકુલ બનાવાશે

ગાંધીનગર: ઐતિહાસિક અને પુરાતન નવાબી નગર ખંભાતમાં આધુનિક સુવિધાયુક્ત પશુ સારવાર માટેનું નૂતન સંકુલ રૂા ૧.૧૯ કરોડના ખર્ચથી આકાર લઈ રહ્યું છે. જેથી પશુપાલન ક્ષેત્રે આણંદ જિલ્લો વધુ સમૃદ્ધ બનશે.

ખંભાત નગર નવાબી કાળથી અને બંદર હોવાના કારણે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અન્ય દેશોના મુસાફરો ભારત આવતા અને ખંભાતની અચૂક મુલાકાત લેતા, ત્યારે ઈ. સ. ૧૫૮૦માં એક ફ્રેન્ચ મુસાફર રાલફ ખંભાત નગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અહીં પક્ષીઓ અને નાના પ્રાણીઓની સારવાર માટેની ક્લીનીક કાર્યરત હોવાનું પોતાની પ્રવાસ કથામાં વર્ણન કર્યું છે.

નાયબ પશુપાલન નિયામક ડો. સ્નેહલ પટેલે જણાવ્યું કે, દુનિયામાં ૧૬મી સદીમાં પશુ સારવાર એટલે કે વેટરનરી શિક્ષણની શરૂઆત થઈ, તે પહેલાં ખંભાતમાં ૧૫૮૦ના સમયમાં પક્ષી, બિલાડી, કૂતરા વગેરેની સારવાર થતી હતી.  ખંભાત ખાતે હાલના જૂના પશુ દવાખાનાની જગ્યાએ એક અદ્યતન સંકુલ રૂા.૧.૧૯ કરોડના ખર્ચથી નિર્માણ કરવાનું કામ આરંભાયું છે.

આણંદ જિલ્લાની ઐતિહાસિક નગરી એવી ખંભાતનો સાંસ્કૃતિક વારસોએ પશુ ચિકિત્સા ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે. આજથી ૪૦૦ વર્ષ પહેલા ત્યારે ૧૬મી સદીમાં સમગ્ર વિશ્વમાં પશુ ચિકિત્સાના શિક્ષણની હજી શરૂઆત થતી હતી. તેવા સમયે ખંભાતમાં પક્ષીઓની સારવાર માટે આગવુ દવાખાનું હતું.

જ્યારે રોમન મુસાફર પેટ્રો ડીલાવેલ ઇ.સ.૧૬૮૩માં ખંભાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ખંભાતમાં પશુઓ માટે સારી પાંજરાપોળો ચાલતી હોવાનો પોતાના પ્રવાસ કથામાં ઉલ્લેખ કર્યા છે. જેને જોવા માટે યુરોપના દેશોમાંથી પ્રવાસી આવતા હતા તેવી નોંધ ઐતિહાસીક દસ્તાવેજોમાં જોવા મળે છે.

હાલ ખંભાતમાં ત્રણ દરવાજા પાસે જે પશુ દવાખાનું છે, તે વર્ષ ૧૯૧૦ પહેલા કાર્યરત હતું અને ૧૯૨૬ના વર્ષમાં બનેલા અને ખંભાત નવાબ તરફથી ગુજરાત સરકારને સોંપવામાં આવેલ આ પશુદવાખાનું નવ નિર્માણની આજથી શરૂઆત થઈ છે.

ખંભાતના હાલના પશુ દવાખાનાની જગ્યાએ હવે પશુ પક્ષીની સચોટ સારવાર માટે આધુનિક સાધન સામગ્રીથી સજજ એવું નવા પશુ દવાખાનાનુ રૂ.૧.૧૯ કરોડના ખર્ચથી સાકાર થશે જેનું રાજ્યના કરૂણામય અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તાજેતરમાંbજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ખંભાતમાં આજે પણ પશુપાલન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખંભાત ખાતે ખાસ કેમ્પ ઉભા કરીને ઊંટ અને પક્ષીઓની વિવિધ પ્રકારની સારવાર થઈ રહી છે.

મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ આણંદ જિલ્લાના પેટલાદ અને બોરસદના પશુ દવાખાના ઉપરાંત તાલુકા સ્તરે પણ ગ્રામ્ય પશુઓની સારવાર અને કાળજી લેવામાં આવી રહી છે. તો પેટલાદમાં પશુ દવાખાનાની વિદેશી મહાનુભાવો પણ મુલાકાત લઈ ચૂક્યા છે હોવાથી આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામ્યું છે.આણંદ ખાતેની વેટરનરી કોલેજ પણ પશુ સારવાર અને સંશોધન ક્ષેત્રે તેમજ વિવિધ શસ્ત્રક્રિયાઓમાં પણ દેશભરમાં ખ્યાતિ ધરાવે છે.

સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા આણદ જિલ્લામાં કુલ સાત જેટલી ૧૯૬૨ કરૂણા પશુસારવાર એમ્બ્યલુન્સ દ્વારા ૭૦ જેટલા ગામોમાં અબોલ પશુઓની મફત સારવાર કરવામાં આવી રહી છે. જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પાછલા પાંચ વર્ષોમાં આણંદ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે પશુપાલકોને રૂ. ૧૨ કરોડથી વધુ રકમની સહાય આપવામાં આવી છે.

આણંદ જિલ્લામાં આવેલા પશુ દવાખાના અને સરકારી પશુચિકિત્સકો સાચે જ અબોલ પશુ પક્ષીઓની સેવા સારવાર કરી સંવેદનશીલ સરકારના કરૂણા અભિયાનને આગળ વધારી રહ્યા છે જે સરાહનીય છે.

(5:02 pm IST)