Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વાવાઝોડુ કઈ બાજુ ફંટાય તે નક્કી નથી, પણ શનિ-રવિ વરસાદ તો પડશે જ

વાવાઝોડુ ‘બિપરજોય' મધદરિયે સ્‍થિર અને પોરબંદરથી ૯૬૫ કિ.મી. દૂર છે : ચોમાસુ કાલે કેરળ પહોંચી શકે છે, કેરળ અને લક્ષદ્વીપમાં ઝમાઝમ વરસાદ પડશે : બંગાળની ખાડીમાં ચોમાસાના વાદળો છવાયા

રાજકોટ : અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘બીપરજોય' નામનું વાવાઝોડુ અત્‍યારે મધદરીયે સ્‍થિર થઈ ગયુ છે અને પોરબંદરથી ૯૬૫ કિ.મી. દૂર છે. અત્‍યારે વાવાઝોડાની ગતિ ધીમી છે એટલે તે કઈ તરફ જઈ રહ્યુ છે કે પછી કઈ તરફ જશે, તે અત્‍યારે કહેવુ મુશ્‍કેલ છે. ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલ રૂમના જણાવ્‍યા અનુસાર, સાચી ખબર બપોર પછી પડશે કે વાવાઝોડુ કઈ દિશામાં આગળ વધી રહ્યુ છે. જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધે તો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્‍તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી ચક્રવાતનો ખતરો ટળશે પણ ૧૦-૧૧ જૂને વરસાદની સંભાવના તો છે જ. સાથે દરિયા કિનારાના વિસ્‍તારોમાં ભારે પવન ફૂંકાશે.

અરબ સાગરમાં સર્જાયેલુ ચક્રવાત ‘બિપરજોય' પાકિસ્‍તાન તરફ આગળ વધી રહ્યુ છે. દરિયામાં આ વાવાઝોડુ જે જગ્‍યાએ સર્જાયુ છે, તેની બરાબર દક્ષિણે ચોમાસુ અટકી ગયુ હતું. તેથી જ હવે ચોમાસા માટે રસ્‍તો ખુલ્લો થઈ ગયો છે. હવામાન વિભાગે કહ્યુ કે ચોમાસુ આવતીકાલે એટલે કે ૯ જૂને કેરળ પહોંચી શકે છે. જો કે તે સંપૂર્ણ ૮ દિવસ મોડુ પડી ગયુ છે. પરંતુ હવે તેની ઝડપ વધી શકે છે.

કેરળની સમાંતર જયાંથી વાવાઝોડુ પસાર થયુ હતું તે સ્‍થાનો વાદળછાયુ બની ગયા છે. આથી કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ થયો હતો. આજે પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.

બીજી તરફ બંગાળની ખાડી પર ચોમાસાના વાદળો છવાઈ ગયા છે. જેના કારણે ચોમાસાની પૂર્વ રેખા આગામી ૨૪ કલાકમાં પૂર્વોત્તર રાજયો સુધી પહોંચી શકે છે. ચોમાસુ સામાન્‍ય રીતે ૮ રાજયો એટલે કે ૮ જૂન સુધીમાં દેશના ૩૫% જમીન વિસ્‍તારને કવર કરી શકે છે.

(3:53 pm IST)