Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

અમદાવાદ:જુહાપુરાના સંકલિતનગરમાં નાણાકીય લેતીદેતી મામલે થયેલ હત્યાના આરોપમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ: જુહાપુરાના સંકલીતનગરમાં શનિવારે મોડી રાત્રીના યુવકની હત્યાના બનાવમાં બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. નાણાંકીય લેતીદેતીમાં યુવકની હત્યા થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કુખ્યાત સમીર પેન્દી અને તેના સાગરીતોએ હુમલો કરતો બનાવ બન્યો હતો. વેજલપુર પોલીસે ફરાર થઈ ગયેલા સમીર પેન્દીની શોધખોળ હાથ ધરી છે. 

વેજલપુર પોલીસે બાતમીના આધારે ઈરફાન ઉર્ફ મોગલી ચાંદભાઈ શેખ (ઉં,૩૫) રહે, સાહીસ્તા ફલેટ, સમા સોસાયટી રોડ, જુહાપુરા અને સલીમસઈદ અહેમદસઈદ પઠાણ (ઉં,૪૪) રહે, સંકલીતનગર, જુહાપુરાની ધરપકડ કરી હતી. બનાવની વિગતો મુજબ વેજલપુર એપીએમસી માર્કેટ પાછળ આવેલા અમીન પાર્કમાં રહેતાં વસીમુદ્દીન મયુદ્દીન શેખની આરોપી સમીર ઉર્ફે પેન્દી પઠાણ તેના સાગરીતો શેફઅલી ઉર્ફ જબ્બો, ઈરફાન ઉર્ફ મોગલી અને સલીમખાન પઠાણે ચાકૂના ઘા મારી  હત્યા કરી હતી. બનાવ અંગે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલેલી વિગત મુજબ મૃતક વસીમુદ્દીનને ઈલીયાસ નામના શખ્સ પાસેથી રૂ.૫૦ હજાર લેવાના નીકળતા હતા. વસીમે કોરોનાના સમયમાં ઈલીયાસને નાણાંકીય મદદ કરી હતી. જે રકમની જરૂરીયાત હોવાથી વસીમુદ્દીને ઉઘરાણી શરૂ કરી હતી. આ પૈસાના વિવાદમાં આરોપીઓએ વસીમુદ્દીન પર હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. 

(4:56 pm IST)