Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

૧૦ માસથી સુસ્ત સ્ટેશનરીના વેપારમાં હવે તેજીની મસ્તી

સ્ટેશનરી વેપારીઓમાં ખુશીની લહેર : રાજ્યમાં સ્ટેશનરી અને બુક્સનો ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે, ૧૦ મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ બંઘ

અમદાવાદ,તા.૮ :કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર ઠપ્પ છે. પરંતુ આખરે કોરોનાને કારણે મંદ પડી ગયેલા સ્ટેશનરી બિઝનેસમાં ખરીદી શરૂ થતાં વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં સ્ટેશનરી અને બુક્સનો કરોડો રૂપિયાનો વેપાર જાણે તળીયે આવી ગયો હતો. હવે જ્યારે સરકારે સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે સ્ટેશનરીના વેપારમાં જાણે પ્રાણ ફૂંકાયા છે. રાજ્યમાં સ્ટેશનરી અને બુક્સનો ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. છેલ્લા ૧૦ મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ બંઘ હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે. હવે સરકારે ૧૧મી જાન્યુઆરીથી સ્કૂલો અને કૉલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરતા જ વેપારીઓમાં ખુશી છવાઈ છે. સરકારના આ નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે. સરકારની જાહેરાત પ્રમાણે પહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય ધોરણના વર્ગો શરૂ થશે.

          વેપારીઓને આશા છે કે ધંધો ૮૦ ટકા જેટલો સુધરશે. વર્ષની શરૂઆત થતા જ પેન પેન્સીલ, બુક્સ, નોટબુક સહીતનું વેચાણ ભારે માત્રામાં થતું હોય છે, પરંતુ કોરોનાને કારણે વેપાર ફક્ત ૩૦ ટકા જેટલો થઈ ગયો હોવાનું સ્ટેશનરીના વેપારી શૈલેષભાઇ પટેલ જણાવી રહ્યા છે. સ્ટેશનરીના અન્ય વેપારી હર્નિશભાઈ કહે છે કે દર વર્ષે ટેક્સ બુકના વ્યવસાયમાં રેફરન્સ બુક્સ, લોગબુક અને એસાઇનમેન્ટ બુક્સને કારણે વેપારીઓને વ્યવસાય મળી રહેતો હતો પરંતુ ઓનલાઇન ક્લાસ ચાલતા હોવાથી આ બુક્સનું વેચાણ નહિવત પ્રમાણમાં થયું છે. જ્યારે કેજી સેક્સનની બુક્સો તો આ વર્ષે વેચાઇ પણ નથી. વેપારીઓએ કરેલો સ્ટોક હજુ યથાવત છે. જોકે, હવે શાળાઓ અને કૉલેજો શરૂ થશે એટલે આ ધંધો ફરી પાટા પર આવી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં માત્ર સ્ટેશનરી જ નહીં, સ્કૂલબેગ્સ, સ્કૂલ યુનિફોર્મ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની રોજી રોટી પણ શાળાઓ પર નભેલી છે. બે દિવસ પહેલા શિક્ષણ મંત્રીએ રાજ્યમાં ૧૧મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે.

(9:07 pm IST)