Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સુરતમાં ‘પાસ'ના નેતાઓ વિફરતા કોંગ્રેસને મોટો ફટકોઃ વોર્ડ નં.3ના બંને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્‍યાઃ કોંગ્રેસ-પાસ વચ્‍ચેના વિવાદ મુદ્દે હાર્દિક પટેલ નિવેદન આપશે

સુરત: સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ઉપરાઉપરી રાજીનામા પડી રહ્યાં છે. પાસ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈને કોંગ્રેસને જ ફટકો પડી રહ્યો છે. સુરતના વોર્ડ નંબર 3ના ઉમેદવાર કાંતિ ભરવાડ અને જ્યોતિ સોજિત્રા ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા છે. વોર્ડ નંબર 3 પાટીદાર વિસ્તાર ગણાય છે. ગત ચૂંટણીમાં પાટીદાર મત કોંગ્રેસને મળતા કોંગ્રેસને મોટા ફાયદો થયો હતો. પરંતુ હાલ પાસના નેતાઓ વિફરતા કોંગ્રેસે આ મોટો ફટકો કહી શકાય. પાટીદારો સામેના વાકયુદ્ધમાં સીધું નુકસાન કોંગ્રેસનું જ છે.

આ પહેલા સવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના સમર્થનમાં સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું. તો બીજી તરફ, કોંગ્રેસને બીજો મોટો ફટકો પક્ષપલટામાં પણ પડશે. આજે કોંગ્રેસમાથી 500 કાર્યકર્તા રાજીનામુ આપીને ભાજપમાં જોડાશે. સુરત કોંગ્રેસ એસસી સેલના ઉપપ્રમુખ કિરીટ રાણા પણ રાજીનામુ આપીને ભગવો ધારણ કરશે. તેમને બે ટર્મથી કોંગ્રેસે ટિકિટ ના આપતા નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપનો ખેસ પહેર્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચેનું વાકયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે.. આ મામલામાં હાર્દિક પટેલ સંપૂર્ણ રીતે મૌન છે. પરંતુ હજુ કઈક નવાજૂની થવાના એંધાણ છે. અલ્પેશ કથીરિયાએ એલાન કર્યું કે, 12 ઉમેદવારો કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચશે. જો કે આ વચ્ચે કેટલાક ફોર્મ ખેંચી રહ્યાં છે, પણ કેટલાક ઉમેદવારો ફોર્મ ખેંચવા મામલે હજી પણ અસંમજસમાં છે. એટલું જ નહિ, ઉમેદવાર નિલેશ કુંભાણીએ તો એમ પણ કહી ચૂક્યા છે કે, કોઈ પણ ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે. નોંધનીય છે કે, વિજય પાનસુરિયાને કોંગ્રેસ ટિકિટ ન આપતા પાસમાં રોષ જોવા મળ્યો હતો. વિજય પાનસુરિયાની ટિકિટ કપાતા પાસના અન્ય ઉમેદવારોએ પણ અગાઉ ફોર્મ ન ભરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે જે લોકોએ ફોર્મ ભર્યા તે પણ પાછા ખેંચશે તેવા એલાન વચ્ચે હવે અસમંજસની સ્થિતિ છે.  આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે કાલે ચિત્ર સ્પષ્ટ થશે કે પાસ કોની સાથે છે અને કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચે છે.

શહેર અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મેવાસાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, સમાજ માટે હું રાજીનામું આપું છું. પાટીદારો સાથે ખોટું થઈ થયું છે અને પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે. સુરતમાં માત્ર પાટીદારોને કારણે કોંગ્રેસને જીત મળતી હતી. કોંગ્રેસ પાટીદારોનું ઋણ ભૂલી ગયું છે અને પાટીદાર સમાજને કોંગ્રેસે દોષિત ગણાવી છે. જેને કારણે હવે કોંગ્રેસ પક્ષ ભાંગી પડશે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે મેવાસાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના અનેક ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે અને માત્ર પાટીદારો જ નહીં, પણ અન્ય સમાજના ઉમેદવારો પણ સંપર્કમાં છે. હાર્દિક પટેલ મામલે મેવાસાએ કહ્યું કે, હાર્દિક સમાધાન કરાવવા મહેનત કરી રહ્યા છે અને સમાજને થતાં અન્યાય બાબતે હાર્દિક પટેલ સમાજની સાથે છે. જો પાસ કહે તો સમય આવશે ત્યારે હાર્દિક પટેલ રાજીનામું આપશે. હાર્દિકને કોંગ્રેસમાં ગણવામાં નથી આવતો એટલે આવા પગલા ભર્યા છે. અત્યાર સુધી હાર્દિક પટેલ કેમ સામે નથી આવ્યા અને કેમ નિવેદન નથી આવ્યું, એ સવાલના જવાબમાં જિજ્ઞેશ મેવાસાએ કહ્યું કે, હાર્દિક પટેલ આજે લોકો સમક્ષ આવશે અને કોંગ્રેસ-પાસ વિવાદ પર હાર્દિક પટેલ નિવેદન આપશે.

(4:36 pm IST)